Get The App

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત 1 - image


Digital Gujarat: રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી 'Top-High Volume Services' માટે આધાર પ્રમાણીકરણ અમલી બનાવવામાં આવ્યું છે.

કેમ લેવાયો આ નિર્ણય?

ગુજરાત વહીવટી સુધારણા આયોગના પાંચમા અહેવાલની ભલામણ મુજબ, નાગરિકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં પારદર્શિતા લાવવા અને સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. એક જ વ્યક્તિ અલગ-અલગ ઓળખ ઉભી કરી વારંવાર લાભ ન લે તે સુનિશ્ચિત કરવા. નાણાંકીય સહાય, સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓ સીધી પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા.

આ પણ વાંચો: અમદાવાદમાં ભારતની પ્રથમ ગેસ આધારિત ટ્રેન શરૂ કરાઈ, LNG સાથે ડીઝલનો પણ વિકલ્પ

કઈ સેવાઓ પર અસર થશે?

આ ઠરાવના અમલીકરણ બાદ હવે આવકના દાખલા, સામાજિક વર્ગના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં નામ સુધારવા/ઉમેરવા અને સોગંદનામા જેવી અંદાજે 20 જેટલી મુખ્ય સેવાઓમાં આધાર પ્રમાણીકરણ જરૂરી બનશે.

નાગરિકોને શું થશે ફાયદો?

દસ્તાવેજોના ભારણમાંથી મુક્તિ: આધાર પ્રમાણીકરણ થવાથી વારંવાર ઓળખ અને રહેઠાણના પુરાવાઓ આપવાની જરૂર રહેશે નહીં.

પ્રોસેસ રી-એન્જિનિયરિંગ:  ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR)ના અમલથી સરકારી પ્રક્રિયાઓ ટૂંકી અને ઝડપી બનશે.

સલામતી: ડેટા પ્રાઈવસી માટે માત્ર 4 આંકડાનું 'માસ્ક આધાર' વાપરવામાં આવશે અને 2021ના રેગ્યુલેશન મુજબ સુરક્ષા જાળવવામાં આવશે.

પ્રમાણીકરણની પદ્ધતિઓ

સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ સ્થાપિત કરવા માટે વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઈમ પાસવર્ડ દ્વારા. ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ સ્કેન દ્વારા. જો કોઈ તકનીકી કારણોસર આધાર પ્રમાણીકરણ ન થઈ શકે, તો વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પણ લાભાર્થીને લાભ આપવામાં આવશે જેથી કોઈ વંચિત ન રહી જાય.