હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોને રાહત, રાજ્ય સરકારે જાહેર કરી સહાય યોજના
Surat Dimond Industry: ગુજરાતનું સુરત શહેર પોતાના હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. પરંતુ છેલ્લાં અનેક વર્ષોથી ચાલી રહેલી સતત મંદીના કારણે તે ઠપ્પ પડી ગયું છે. આ સિવાય અનેક રત્ન કલાકારોએ આર્થિક સંકડામણના કારણે મોતને વ્હાલું કર્યું હતું. રત્નકલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઑલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બેઠકના 74 દિવસ બાદ શનિવારે (24 મે) આ વિશે નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકારે રત્નકલાકારોના હિત માટે વિવિધ સહાય યોજનાની જાહેરાત કરી છે.
રત્નકલાકારો માટે સહાય યોજના
રાજ્ય સરકારે રત્નકલાકારો માટે સહાય યોજના બનાવી છે, જેની જાહેરાત શનિવારે (24 મે) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કરી હતી. આ યોજના હેઠળ, રાજ્ય સરકાર રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13500 સુધીની રકમ માફ કરશે. સરકાર દ્વારા DBT મારફતે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ સિવાય વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે. તેમજ, 5 વાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ કચ્છ બોર્ડર પરથી વધુ એક શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસની ધરપકડ, અમદાવાદ ATSને સોંપાયો
સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે. જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ સામેલ હશે, જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે. આ સમિતિની બેઠક દર મહિને ઓછામાં ઓછી બે વખત યોજાશે.
સહાય મેળવવાની પાત્રતા
સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા. 31 માર્ચ 2024 બાદ રોજગાર ગુમાવનાર રત્ન કલાકારને સહાય મળવા પાત્ર રહેશે. તે ઉપરાંત રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધુ, ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી હીરા ઉદ્યોગના કારખાનામાં કામગીરી કરેલી હોય તેમજ હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હશે તેને સહાય મળવાપાત્ર રહેશે. તે માટે આ પેકેજની જાહેરાતથી 2 માસની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. જેમાં જિલ્લા શ્રમ અધિકારી/રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા ડાયમંડ એસોસિએશનનો ભલામણપત્ર તેમજ બાળકોની શાળાની ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર આધાર-પૂરાવા તરીકે જોડવાનું રહેશે.
કોને મળશે આ યોજનાનો લાભ
નોંધનીય છે કે, આ રાહતનો લાભ એવા રત્નકલાકારોને જ મળશે, જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય અને તેમને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોય. આ સિવાય, તેમણે રત્નકલાકાર તરીકે સતત 3 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ.
હીરાના કારખાનાઓ માટે રાહત પેકેજ
- નાના ઉદ્યોગો એટલેકે જે કારખાનામાં ઓછામાં ઓછું અઢી કરોડનું રોકાણ મતલબ કે મશીનરીનું હોવું જોઈએ.
- આવા કારખાનાઓ છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 22-23, 23-24 અને 24-25 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
આ પણ વાંચોઃ જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2.30 લાખ પણ ગુમાવ્યા
કોને લાઈટ બિલ માં રાહત મળશે ?
હીરા એકમોનો ગત વર્ષ 2023-24નો જે વીજ વપરાશ થયો હોય એટલે કે જો ગત વર્ષ 100 યુનિટ વપરાતા હોય તો તેમા 25 ટકાનો ઘટાડો થયો હોય તો જ લાભ મળશે. આ ઉપરાંત 31 માર્ચ, 2025 પહેલા જે એકમો ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર થયા હોય તેવા જ એકમોને લાભ મળશે.
રત્નકલાકારોએ બે દિવસ કરી હતી હડતાળ
ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતા કોઈ નિવેડો ન આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા 30, 31 માર્ચ એમ બે દિવસ હડતાળ કરવામાં આવી હતી. આ સિવાય કતારગામથી હીરાબાગ સુધી રેલી નું પણ આયોજન કરાયું હતું.
16 મહિનામાં 71 રત્નકલાકારોનો આપઘાત
ઉલ્લેખનીય છે કે, મંદીના કારણએ બેરોજગાર થવાથી અનેક રત્નકલાકારોએ અન્ય ધંધો અપનાવી લીધો હતો. જોકે, ઘણાંને અન્ય રોજગાર પણ ન મળતા મોતને વ્હાલું કરવું પડ્યું હતું. ડાયમંડ વર્કર યુનિયનના દાવા પ્રમાણે છેલ્લાં 16 મહિનામાં 71 રત્નકલાકારોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.