Gujarat Administrative Reshuffle: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આજે (બીજી જૂન) એક મહત્ત્વનો સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વહીવટી માળખાને વધુ વેગવંતું બનાવવા અને સુચારૂ કામગીરી માટે 6 વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓને અન્ય મહત્ત્વના હોદ્દાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વયનિવૃત્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂકો કરવામાં આવી છે.
રાજ્યપાલના આદેશથી જીએડી (GAD) દ્વારા જાહેરાત
રાજ્યપાલના આદેશથી સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ જૈમીન શાહ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સરકારી આદેશ અનુસાર, રાજ્યના 4 વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અને 2 ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓને તેમની વર્તમાન મૂળ જવાબદારીઓની સાથે-સાથે અન્ય ખાલી પડેલા મહત્ત્વના વિભાગોનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
તાજેતરમાં વયનિવૃત્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓને કારણે રાજ્યના કેટલાક મહત્વના વિભાગોમાં મુખ્ય હોદ્દાઓ ખાલી પડ્યા હતા. સરકારી કામકાજ અને વહીવટી પ્રક્રિયાઓ કોઈ પણ અડચણ વિના સમયસર ચાલતી રહે તે માટે આ આંતરિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


