Gujarat

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા

By GS TEAM
9 Dec 20253 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ છે. રાજ્ય ચૂંટણી પંચના મતે, ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે પૈકી 4.32 કરોડ ફોર્મની ચકાસણી થઈ શકી છે. મહત્ત્વની વાત એ છે કે, 67.98 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી. 2025ની મતદાર યાદીમાં નામ હાજર છે પણ 2002ની મતદાર યાદીમાં નામ મેચિંગ થતુ નથી. આ સંજોગોમાં મતદારોએ હવે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે. મતદાર યાદીમાં નામ છે કે નહીં તે મુદ્દે હવે ડ્રાફ્ટ મતદાર યાદી પર સૌની નજર મંડાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા

File Photo



Gujarat SIR: ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ છે. રાજ્ય ચૂંટણી પંચના મતે, ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે પૈકી 4.32 કરોડ ફોર્મની ચકાસણી થઈ શકી છે. મહત્ત્વની વાત એ છે કે, 67.98 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી. 2025ની મતદાર યાદીમાં નામ હાજર છે પણ 2002ની મતદાર યાદીમાં નામ મેચિંગ થતુ નથી. આ સંજોગોમાં મતદારોએ હવે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ પુરાવા રજૂ કરવા પડશે. મતદાર યાદીમાં નામ છે કે નહીં તે મુદ્દે હવે ડ્રાફ્ટ મતદાર યાદી પર સૌની નજર મંડાઇ છે.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલાં મતદાર યાદી સુધારણા અભિયાન બાદ એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણીપંચે કુલ મળીને 5,08,37,436 ફોર્મની વહેચણી કરી હતી. તે પૈકી 4,32,68,946  ફોર્મની બુથ લેવલ ઓફિસર દ્વારા ચકાસણી કરાઈ છે. વર્ષ 2002ની મતદાર યાદી અને વર્ષ 2025ની મતદાર યાદીમાં નામ હોય તેવા મતદારની સંખ્યા 1,61,55,411 રહી છે.

કયા મતદારોએ પુરાવા રજૂ કરવા પડશે? 

2,03,15,249 મતદારો એવા છે જે વર્ષ 2002 અને 2025ની મતદાર યાદીમાં દાદા-દાદી, માતા પિતાના નામ સાથે મેચિંગ થઇ શક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 67,98,286 મતદારોના નામ વર્ષ 2025ની મતદાર યાદીમાં છે પણ વર્ષ 2002ની મતદાર યાદીમાં નથી. આ જોતાં આ મતદારોએ હવે પુરાવા રજૂ કરવા પડશે.

રાજ્ય ચૂંટણી પંચે ખુદ સ્વીકાર્યુ છે કે, 73.61 મતદારોના ફોર્મ હજુ મળી શક્યા નથી. આ જોતાં રાજ્ય ચૂંટણીપંચ તબક્કાવાર જિલ્લાવાઇઝ બેઠક યોજશે. સાથે સાથે જે મતદારોના ફોર્મ મળ્યાં નથી તેમના નામ ચૂંટણીપંચની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 17,90,590 મતદારો મૃતક હોવાનું સામે આવ્યુ છે. જ્યારે 10,01,522 મતદારો પોતાના સ્થળે ગેરહાજર રહ્યા છે. આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, 39,90,387 મતદારોએ કાયમી સ્થળાંતર કરી ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ 'વાઈબ્રન્ટ ગુજરાત'નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર

સુરતમાં સૌથી વધુ 1,45,155 મૃતક મતદારો નોંધાયા છે જ્યારે સ્થળાંતરિત મતદારોમાં પણ સુરત રહ્યુ છે. અહીં 8.68 લાખ મતદારોએ સ્થળાંતર કર્યુ છે જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ 8,24,789 મતદારોએ સ્થળાંતર કર્યું છે. 4.21 લાખ સિનિયર સિટીઝન નોંધાયાં છે જેમની ખરાઈ કરવામાં આવી રહી છે.

વિદેશમાં સ્થાયી થનારાં લોકોના ફોર્મ બારોબાર ભરી દેવાયાં 

સરની કામગીરી પુર્ણ થઇ છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ એવી રજૂઆત કરાઈ છેકે, કેટલાંય સ્થળોએ વિદેશમાં સ્થાયી થયા હોય. એટલુ જ નહીં, વિદેશની નાગરિકતા ધરાવતાં હોય તેવા લોકોના પણ મતદાર તરીકે બારોબાર ફોર્મ ભરી દેવાયાં છે. સગાસબંધીઓએ ફોર્મ ભરી દીધાં છે ત્યારે આ મામલે ચૂંટણીપંચ તપાસ કરે તો ગેરરીતી સામે આવી શકે તેમ છે. 

અદ્યતન સોફ્ટવેરથી ડુપ્લિકેટ મતદારોને ઓળખી કઢાશે 

ગુજરાતમાં ડબલિયા મતદારોની સંખ્યા ઘણી મોટી છે. વિપક્ષે એકથી વધુ સ્થળે નામ ધરાવતાં મતદારોના નામ કમી કરવા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. અત્યાર સુધીમાં એકથી બીજા સ્થળે નામ હોય તેવા 11.58 મતદારોના નામ કમી કરાયાં છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચ અદ્યતન સોફ્ટવેરની મદદથી ડબલિયા મતદારોને ઓળખી કાઢશે. ઉલ્લેખનીય છે કે, એકથી વધુ સ્થળે નામ ધરાવતાં મતદારોને જેલ અને દંડની સજાની જોગવાઈ કરાઈ છે પરિણામે ઘણાં તો સામે ચાલીને મતદાર યાદીમાં નામ કમી કરાવી રહ્યાં છે.

બધીય બેઠકો પર મતોમાં મોટા ઉલટફેર જોવા મળશે

અન્ય અમદાવાદ સહિત જિલ્લાઓમાં મતદારોના ફોર્મ ભરાયાં છે અને મતદારોના નામ કમી થવાની સંભાવના છે તે જોતાં બધીય વિધાનસભા-લોકસભા બેઠકોમાં મતોમાં મોટા ઉલટફેર જોવા મળે તેમ છે. છેલ્લી સ્થિતિ મુજબ, 33 જિલ્લામાં અત્યારે 33 હજારથી માંડીને 3.45 લાખ સુધી મતમાં ઘટાડો થઈ શકે છે.