|
વડોદરાઃ આવતીકાલે, બુધવારે શહેરની સાથે સાથે એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસ પણ ધૂળેટીની ઉજવણી કરશે.એ પહેલા હોસ્ટેલ સત્તાધીસો દ્વારા સ્ટુડન્ટસ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટસે તેના પર અમલ કરવાનો રહેશે.આ માર્ગદર્શિક પ્રમાણે વિદ્યાર્થીઓએ ઈકો ફ્રેન્ડલી કલર સાથે અને કેમ્પસમાં નક્કી કરેલા સ્થળોએ જ સુરક્ષિત રીતે અને શિસ્તનું પાલન કરીને ધૂળેટીની ઉજવણી કરવાની રહેશે.વિદ્યાર્થીઓ ત્વચાને હાનિકારક હોય તેવા રંગોનો ઉપયોગ નહીં કરી શકે.
સાથે સાથે ધૂળેટીના દિવસે વિદ્યાર્થીઓને વોર્ડનોની લેખિત પરવાનગી વગર હોસ્ટેલ કેમ્પસમાંથી બહાર જવાની મનાઈ ફરમાવાઈ છે.ઉપરાંત વડોદરા શહેરના કોઈ પણ જળાશયની વિદ્યાર્થીઓ ધૂળેટીના દિવસે મુલાકાત નહીં લઈ શકે.વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ આદેશ કરાયો હોવાનું સત્તાધીશોનું કહેવું છે.જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે શિસ્તભંગ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થીને ધૂળેટીમાં બહાર જવું પણ હશે તો તેણે પોતાના માતા પિતા કે સ્થાનિક ગાર્ડિયનનો સહી કરેલો પત્ર રજૂ કરશે અને તેમાં પણ કયા સ્થળની, કયા સમયે અને મુલાકાત લેવાની છે તેની જાણકારી અને માતા પિતા કે સ્થાનિક ગાર્ડિયનનો સંપર્ક નંબર દર્શાવવાનો રહેશે.


