- શોભાયાત્રાના માર્ગો પર ચિત્તાકર્ષક શણગાર કરાયા
- ગોહિલવાડમાં ઠેર-ઠેર રામલલ્લાની રંગદર્શી શોભાયાત્રા નિકળશે, રામજી મંદિરો રોશનીથી ઝળહળશે
ગત ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. જેનું આવતીકાલ તા.૨૬-૩ ને ગુરૂવારે રામનવમીએ સમાપન થશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઈભકતો દ્વારા ઉપવાસ અને વ્રત કરાયા હતા.શહેરના તપસીબાવાની વાડી (રામમહલ), દેવજી ભગતની ધર્મશાળા,ઓમ શ્રી રામમંત્ર મંદિર સહિતના રામજીમંદિરોમાં આવતીકાલે બપોરે ૧૨ ના અરસામાં ઘંટારવ અને શંખનાદ સાથે શ્રીરામચંદ્રજીના જન્મોત્સવના વધામણા કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગુરૂવારે સાંજે ૪ કલાકે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળશે. જેમાં ગોહિલવાડના સાધુ, સંતો અને વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રામાં અખાડા, મીની ટ્રેન, જીપ તેમજ આકર્ષક ફલોટ જોવા મળશે. આ પ્રસંગે પરિમલ તપસ્વી મહારાજની જગ્યા (રામમહલ)ખાતેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાશે. જે વાજતે ગાજતે સંત કંવરરામ ચોક, જૈન દેરાસર, પાનવાડી, ચાવડી ગેટ, જશોનાથ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જલારામબાપા મંદિર,ખારગેટ, બાર્ટન લાયબ્રેરી, રાજયગુરૂ ચોક, પીપળીયા હનુમાનજી મંદિર નવાપરા થઈ ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી બાદ પુર્ણ થશે.


