ગિરનારમાં ભારે પવનના કારણે રોપ-વે અનિશ્ચિત સમય સુધી બંધ, વેકેશનમાં પ્રવાસીઓને હાલાકી

Image: wikipedia |
Girnar Ropeway Service: જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર રવિવારે (26 ઓક્ટોબર) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે.
જોખમી પવનની ગતિને કારણે લેવાયો નિર્ણય
રોપ-વેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જોખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટી તંત્રના સમર્થનથી રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવાયોછે. રોપ-વેના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પવનની ગતિમાં ઘટાડો થયા બાદ અને વાતાવરણ સામાન્ય બન્યા પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
વૃદ્ધો અને યાત્રાળુઓની હાલાકી
રોપ-વે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને જેઓએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. હાલમાં, દાદાના દર્શન માટે યાત્રાળુઓએ પગથિયાં ચઢીને જ ગિરનારની ટોચ પર જવું પડશે, જેના કારણે વૃદ્ધો અને શારીરિક રીતે અસમર્થ મુસાફરોને વધુ મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ
હાલ, તંત્ર તરફથી પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાની બાબતમાં બાંધછોડ ન કરે અને પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જુએ. રોપ-વે ઓથોરિટી સમયાંતરે પવનની ગતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સુધરતાં જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

