Surat News : સુરતના પાંડેસરા GIDC ખાતે આવેલા ન્યુ પારસ ડાઈગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રામિકોને ગૂંગળામણ થતાં તમામ સારવાર માટે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચારેય યુવકના મોત નિપજ્યા છે.
પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સોનુકુમાર ઉર્ફે ધનજંય કમલેશ પાસવાન, દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન (ઉં.વ.20), મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાન ગુરૂવારે(5 માર્ચ, 2026) રાત્રે પાંડેસરા GIDCમાં આવેલા ન્યુ પારસ ડાઈગ મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવા અને ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે શ્રમિકો ઉતર્યા હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઇપમાંથી અચાનક કેમિકલનો ગેસ લીકેજ શરૂ થતા ટાંકીની અંદર ગેસ ફેલાઈ ગયો હતો.
ગેસના લીકેજના કારણે શ્રામિકો ગૂંગળામણથી થયા બેભાન
ગેસના લીકેજના કારણે ચારેય શ્રામિકને ગૂંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જહેમત બાદ ચારેય શ્રામિકને ટાંકીમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોનુકુમાર ઉર્ફે ધનજંયનું ગુરૂવારે મોડી રાત્રે જ મોત થયું હતું.
4 શ્રમિકના મોત
ત્યારબાદ શુક્રવારે(6 માર્ચ) સવારે દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે શુક્રવારે સાંજે મહેન્દ્ર અને સંદીપનું પણ ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ધનંજયના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું.
આ બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક ચારેય યુવક કંપનીના કર્મચારી નહોતા. તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી કેમિકલની ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ આદરી
સમગ્ર મામલે પોલીસે ગેસ લીકેજ કેવી રીતે થયો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક સંદીપ સંતોષ પાસવાનનો પરિવાર વતનમાં રહેતો હતો અને તે શહેરમાં પાંડેસરાના ગણેશનગરમાં વતનના અન્ય લોકો સાથે રહી મજૂરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.


