ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress Protest: દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત અને વધતી કટોકટીના મુદ્દે આજે (13મી માર્ચ) ગુજરાત વિધાનસભા સંકુલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર માથે લાકડા, ગેસના ખાલી બાટલા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ટોચના નેતાઓની આગેવાનીમાં પ્રદર્શન
મળતી માહિતી અનુસાર, ગતરોજ દિલ્હી ખાતે લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવેલા દેખાવ બાદ, આજે (13 માર્ચ) ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અંદાજે 12 જેટલા ધારાસભ્યોએ મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં એલપીજી અને નેચરલ ગેસની કટોકટીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે.

ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
દેખાવ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસ કર્મીઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા તે વિધાનસભાના પગથિયા પર પડી ગયા હતા. આ ઘટના બાદ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર શાબ્દિક સંઘર્ષ થયો હતો, જેના કારણે વિધાનસભા પરિસરમાં ગરમાવો આવી ગયો હતો.
આ પણ વાંચો: ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર
દેશ અને રાજ્યમાં ગેસની ચિંતાજનક સ્થિતિ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ પડતા ભારતમાં એલપીજીના પુરવઠામાં ગંભીર અછત સર્જાઈ છે. બ્લેક માર્કેટિંગ રોકવા રાજ્યોને કડક દેખરેખના આદેશ અપાયા છે. ઘરગથ્થુ અને વાણિજ્યિક બંને ગ્રાહકોને રિફિલ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી પશ્ચિમ આફ્રિકા અને અમેરિકા જેવા નવા સ્ત્રોતોથી ગેસ મંગાવવા તજવીજ હાથ ધરી છે.
સરકાર અને વિપક્ષ સામસામે
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ગેસની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે, કોંગ્રેસે આ દાવાને પોકળ ગણાવી વિધાનસભાના ચાલુ સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાની વ્યૂહનીતિ તૈયાર કરી છે. બીજી તરફ, તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને અતિરિક્ત સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.








