નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા

Gandhinagar Demolition: ગાંધીનગરના દહેગામના બહિયલમાં પોલીસ અને તંત્ર ગુરૂવારે (9 ઓક્ટોબર) દ્વારા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી નવરાત્રિ દરમિયાન બીજા નોરતાની રાત્રે થયેલી હિંસાના ભાગરૂપે કરવામાં આવી છે.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, નવરાત્રિના બીજા નોરતે રાત્રિ બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના થઈ હતી અને બાદમાં રોષે ભરાયેલા ટોળાએ ચાર દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. આ હિંસા દરમિયાન પોલીસે કાર્યવાહી કરી તો ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં 83 લોકો સામે નામજોગ અને આશરે 200 જેટલાં અજાણ્યા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અત્યાર સુધીમાં 66 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ!
તંત્રની કાર્યવાહી
હવે આ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સોમવારે (6 ઓક્ટોબર) 51 દબાણ કરનારાઓને નોટિસ આપી બે દિવસમાં દબાણો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, સમય મર્યાદા પૂર્ણ થતા આજે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્રની ટીમે ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવાયું
હાલ તંત્ર દ્વારા તોફાની તત્ત્વોની દુકાનો અને ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે ગામમાં ભય અને ચકચારનું વાતાવરણ છવાયું છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન ગામની મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્સએપ મારફતે તાલુક વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું છે. એવામાં બુલડોઝરની કાર્યવાહીની વચ્ચે રાજીનામું કેમ આપ્યું તે વિશે ચર્ચા ગરમાઈ છે.
આ પણ વાંચોઃ કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા
પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી
તંત્ર દ્વારા હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. હાલમાં ગામમાં સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો છે અને CCTV ફૂટેજના આધારે વધુ તત્ત્વોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.