ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 'પુલ તૂટ્યો તો અમે કૂદી ગયા અને પીકઅપ નદીમાં ખાબકી, અને પછી...'
Gambhira Bridge Tragedy : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 10 લોકોના પાર્થીવ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે દુર્ઘટનાને લઈને જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. દુર્ઘટનાને નજરે જોનારા પિક-અપ ચાલકે સમગ્ર મામલે આપવીતી જણાવી હતી.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં અરજી, 10 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
પીકઅપ ચાલકે વર્ણવી આપવીતી
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદીમાં પડેલા પીકઅપ વાહનના ડ્રાઈવર અનવર શાહે જણાવ્યું હતું કે, 'બ્રિજ તૂટેલો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ હતી. એટલાંમાં અચાનક બ્રિજ હલવા લાગ્યો અને પાછળથી જોરદાર અવાજ આવ્યો. આ દરમિયાન કાંઈ સમજીએ એ પહેલા પુલ એકદમ તૂટ્યો. તેવામાં હું અને મારી સાથેના બે લોકો પીકઅપમાંથી કૂદી ગયા અને સદનસીબે અમારો જીવ બચી ગયો.'
તેમણે કહ્યું કે, 'ઘટના સમયે આસપાસ અન્ય ત્રણ પીકઅપ વાહનો પણ હાજર હતા. અમે બે બાઈક ચાલકોને પણ ચેતવ્યા અને તેમને રોકવાની કોશિશ કરી હતી. જેમાં એક બાઈક વાળા રોકાઈ ગયા અને બીજાને બ્રેક નહીં લાગતા સીધા બ્રિજ નીચેથી નદીમાં પડ્યા હતા.'
આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 14ના મોત
અનવર શાહે કહ્યું કે, 'ઘટનાસ્થળે એક મહિલા જોર-જોર ચીસો પાડી રહી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.' બ્રિજની સ્થિતિ પહેલાથી જ ખરાબ હતી. આ મામલે સ્થાનિકો અને સામાજિક કાર્યકરોએ અનેક રજૂઆત કરી હોવા છતાં ધ્યાને લેવામાં આવ્યું ન હતું. અંતે આજે દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાને લઈને સરકારે તપાસના આદેશ કર્યા છે.