Ahmedabad News : અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં મોટા ભાગના કિસ્સામાં જાણીતા અને કર્મચારી દ્વારા છેતરપિંડી કરાતી હોવાનું સામે આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં લોન આપતી કંપનીમાં કામ કરતા કર્મચારીએ લોનની સાથે મસાલા અને હાથવણાટના સ્વેટર વેચી વધુ વળતરની આપવાની લાલચ આપીને અલગ અલગ જે-તે પાર્ટીઓને 1.11 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને વાપરી નાખ્યા હતા. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
રૂ.1.11 કરોડની છેતરપિંડી
પોલીસ ફરિયાદ મુજબ, 46 વર્ષીય વેપારી હેમન્દ્રસિંહે તેમણે ત્યાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરતા એસ સિદ્ધાર્થ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપી સિદ્ધાર્થ જૂન-2024થી કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે મહિને 3.75 લાખ રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો. તેણે વિશ્વાસ જીતીને કસ્ટમરને મસાલા અને સ્વેટર આપવાની સ્કીમો આપી હતી અને કંપનીને 7થી 10% માર્જિન અપાવવાનું કહી અલગ-અલગ પાર્ટીઓને ટ્રાન્સફર કરાવેલા રૂ.1.11 કરોડની ખુદ વાપરી નાખ્યા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વેપારી હેમન્દ્રભાઈને ત્યાં ગત એપ્રિલ-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન આરોપી એસ સિદ્ધાર્થે અગાઉ લોનનું કામ કરતો હોવાનું કહ્યું હતું અને લોનની સાથે એની વસ્તુ પણ વેચી 7થી 10% વળતર મેળવવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા. આ પછી તેણે ગૃહઉદ્યોગની બહેનો પાસેથી સ્વેટર ખરીદવા અને મસાલાના વેપારના નામે મારુતિ એન્જિનિયર્સ અને ખોડિયાર ઇલેક્ટ્રિક્સ જેવી અલગ અલગ ફર્મના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો
આ ઉપરાંત, તેણે પોતાના ઘરની લોન ભરવા માટે પણ વેપારી પાસેથી 22 લાખ ઉછીના લીધા હતા. આમ ઘણા સમય સુધી માલ-સામાન અને પૈસા પાછા ના મળતા વેપારીએ તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સિદ્ધાર્થે અન્ય વેપારીઓ પાસેથી જાણ બહાર રૂપિયા પાછા લઈ લીધા હતા. આ પછી તેણે લેખિતમાં કબૂલાત કરી હતી, પરંતુ માત્ર 50 હજાર રૂપિયા પાછા આપ્યા અને બાકીના 1.11 કરોડ રૂપિયાથી વધુની રકમ ખુદ વાપરી ગયો હોવાનું કહ્યું હતું. આમ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


