Get The App

જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ સામે ગુનો નોંધાયો

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ સામે ગુનો નોંધાયો 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં મકાનમાં આવતા ભેજના મુદ્દે થયેલા ઝઘડામાં મારામારી તથા અનુસૂચિત જાતિના પરિવારને જાહેરમાં અપમાનિત કરવાના આક્ષેપ સાથે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 પોલીસમાંથી મળતી વિગતો મુજબ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 118(1), 352, 351(3), જી.પી. એક્ટ કલમ 135(1) તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(આર), 3(2)(પાંચ-એ) અને 3(1)(એસ) મુજબ નોંધવામાં આવ્યો છે.

 આ બનાવ તા.06/05/2026 ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં કામદાર કોલોની, શેરી નં. 08, મયુરસાગર એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં બન્યો હતો.

 ફરિયાદી માધવજીભાઈ નારણભાઈ ચાવડા, (ઉંમર વર્ષ 51, રહે-મયુરસાગર એપાર્ટમેન્ટ, કામદાર કોલોની, જામનગર) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપી ધવલભાઈ કનખરા, અજય ગજરા તથા અન્ય તપાસમાં ખુલનાર ઈસમોએ મકાનમાં આવતા ભેજના મુદ્દે ઝઘડો કરી ફરીયાદી તથા તેમના પિતાને લાકડાના પાટિયા, ધોકા અને લોખંડની ચોકી વડે માર માર્યો હતો.

 હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ તેમના પિતાને પણ મુઢમાર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ફરિયાદી અને તેમની પત્નીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 સમગ્ર બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આગળની તપાસ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.