Get The App

રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ પર તોડફોડ

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ પર તોડફોડ 1 - image

40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ગાંધીજીની હત્યાને જસ્ટીફાઈ કરતા અને ગોડસેને દેશભક્ત ચિતરતા નાટકનો દરેક જગ્યાએ વિરોધ કરાશે : કોંગ્રેસ

રાજકોટ, : રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે યોજાયેલા  હું નથુરામ નામના ગોડસેના નાટકનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. મંચ પર જઈ કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જેના પગલે ધસી આવેલી પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ૪૦થી વધૂ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ધમાલના પગલે નાટકનો શો રદ કરાયાનું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું. 

હેમુ ગઢવી હોલમાં આજે રાત્રે 9 વાગે હું નથુરામ નામના નાટકનો શો યોજાયો હતો. જેનો શરૂઆતથી જ કોંગ્રેસે વિરોધ કરી નાટકના આયોજકો અને હેમુ ગઢવી હોલના આયોજકોને નાટક નહીં યોજવા કહ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે નાટકના આયોજકોએ કોઈપણ ભોગે નાટક યોજશું તેવી જીદ પકડી હતી. જેને કારણે મોડી સાંજે કોંગ્રેસના કાર્યકરો હેમુ ગઢવી હોલ ધસી ગયા હતા. 

મંચ પર જઈ કોંગ્રેસના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જાણ થતાં એ ડિવીઝન પોલીસનો કાફલો ધસી ગયો હતો. જેને કારણે પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આખરે પોલીસે ચાલીસથી વધૂ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. 

કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વખતે ગાંધીજી અમર રહે, જબ તક સુરજ ચાંદ રહેગા ગાંધીજી તેરા નામ રહેગા, ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, ગોડસે આતંકવાદી હતા તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.  કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે આ નાટક ગાંધીજીની હત્યાને જસ્ટીફાય કરવા માટે અને ગોડસેને દેશભક્ત ચિતરવા માટે છે. ગાંધીજીના હત્યારાને હિરો બનાવવાનો પણ આ નાટકનો ઉદ્દેશ છે. આ નાટકના અગાઉ સુરત અને વડોદરામાં શો થઈ ચૂક્યા છે. હવે પછી જયાં પણ શો થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરશે.