Get The App

સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ 1 - image

- અરજદારોને ન્યાય મળવાને બદલે ધક્કા ખાવા પડયા

- અરજદારોને આવકના દાખલા અને રેશનકાર્ડ સુધારાના ફોર્મ આપવા કચેરીએ બોલાવતા 'સેવા સેતુ'નો હેતુ જ માર્યો ગયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ઉત્તર ઝોન કચેરી ખાતે લોકોની સમસ્યાઓના સ્થળ પર નિકાલ માટે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ સેવા આપવાને બદલે અરજદારો માટે મુસીબતનું કેન્દ્ર બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતા રોષે ભરાયેલા અરજદારોએ સ્થળ પર જ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

મહાનગરપાલિકાના આંકડા મુજબ ૧૦૪૪ જેટલી અરજીઓ આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં અરજદારોને ન્યાય મળવાને બદલે ધક્કા ખાવા પડયા હતા. કાર્યક્રમ સ્થળે ઝેરોક્ષ મશીનની સુવિધા ન હોવાથી વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં દૂર સુધી ચાલતા જવું પડયું હતું. વધુમાં, જે કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો તેનું લેવલ સરખું ન હોવાથી અનેક લોકો ચાલતા-ચાલતા નીચે પટકાયા હોવાની ઘટનાઓ પણ બની હતી. જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારા અને આઈ.સી.ડી.એસ. જેવી યોજનાઓના કામ માટે આવેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ તેમને પૂરતા જવાબ આપવામાં આવતા નથી.

મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા અને રેશનકાર્ડ સુધારાના ફોર્મ તો વહેંચવામાં આવ્યા, પરંતુ ફોર્મ જમા કરાવવા માટે ફરીથી કચેરીએ આવવાનું કહેવામાં આવતા 'સેવા સેતુ'નો મૂળ હેતુ જ માર્યો ગયો હતો. લોકોએ માંગ કરી છે કે તંત્ર પહેલા યોગ્ય વ્યવસ્થા ઊભી કરે અને ત્યારબાદ જ આવા કાર્યક્રમો યોજે જેથી સામાન્ય જનતાને હેરાન ન થવું પડે. અંતે, મામલો બિચકતા ઉચ્ચ અધિકારીઓએ દોડી આવીને અરજદારોને શાંત પાડવાની કોશિશ કરવી પડી હતી.