સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા
Surat Civil Hospital: બદલાતા વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વધ્યો છે. અમદાવાદ, જામનગર, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે એવામાં સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે. ડાયમન્ડ સિટીમાં રોગચાળો એટલો વધ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે. જેના એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી. 200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આ દરમિયાન રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી છે.
દરરોજ ઓપીડીની સંખ્યામાં વધારો
મળતી માહિતી મુજબ, સુરતમાં દરરોજ 250થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે. બદલાતા વાતાવરણને કારણે સુરતમાં રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સિવિલ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જેમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે રોગચાળો ખતમ થવાને બદલે વધી શકે તેવી આશંકા છે.
મચ્છરજન્ય રોગોમાં વધારો
આ વિશે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, બદલાતા વાતાવરણના કારણે બાળકોમાં બીમારીઓનો દર વધ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા મચ્છરજન્ય રોગો માથું ઊંચકતા હોય છે, એવામાં અનેક જગ્યાએ પાણી ભરાઇ જતા હોવાના કારણે મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. બીમાર બાળકોની સંખ્યા સતત વધી રહ્યા છે. દરરોજ આશરે 200 થી 250 જેટલી ઓપડીની સંખ્યામાં વધારો થયો છે.
હોસ્પિટલની સ્પષ્ટતા
એક બેડ પર બે દર્દી વિશે હોસ્પિટલે જણાવ્યું કે, ગરીબ દર્દીઓને બહાર ન જવું પડે અને જમીન પર સૂઈને સારવાર લેવા જેવી તકલીફનો સામનો ન કરવો પડે તે માટે હંગામી ધોરણે એક બેડ પર બે બાળકો સુવડાવવામાં આવ્યા છે. આ બેડ બાળકોની સરખામણીએ ઘણાં મોટા છે અને સારવારમાં તકલીફ પડે એવું નથી. તેથી જ્યાં સુધી બીજા વૈકલ્પિક બેડની સુવિધા ન થાય ત્યાં સુધી થોડી અગવડનો સામનો કરવો પડી શકે છે. જોકે, ચેપી રોગ ધરાવતા બાળકોને અલગ જ રાખવામાં આવે છે.