Get The App

ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ 1 - image

તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકોના જીવ જોખમમાં

ઈન્ડિકેટર સિગ્નલ બંધ હાલતમાં, ભંડારિયા ગામની ચોકડી પાસે પણ આ જ સ્થિતિથી અકસ્માતની ભીતિ

ભંડારિયાભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મુસાફરી કરવી વાહન ચાલકો માટે જીવનું જોખમ ખેડવા બરાબર બની ગઈ છે. હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે હાઈવેની ચોકડીઓ પર રાત્રિના સમયે ઘોર અંધારપટ છવાયેલો રહે છે, જેને પગલે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.

ભાવનગર-સોમનાથ હાઈવે પરના  બુધેલમાં લાખણકા ચોકડીએ રાત્રે ઘોર અંધારું હોય છે. વાહનચાલકોની સુરક્ષા અને ચેતવણી માટે ત્યાં રાખવામાં આવેલા ઈન્ડિકેટર (સિગ્નલ લાઈટો) પણ લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. તાજેતરમાં આ જગ્યાએ એક કારની અડફેટે આશાસ્પદ યુવાન બાઇક ચાલકનું કરૃણ મોત નીપજયુ હતું. આ દુર્ઘટના ઘટી હોવા છતાં સ્થાનિક તંત્ર કે હાઈવે ઓથોરિટી દ્વારા હજુ સુધી લાઈટો ચાલુ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. સ્થાનિક લોકોમાં રોષ સાથે સવાલ ઉઠી રહ્યો છે કે, શુ તંત્ર હજુ વધુ લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે. માત્ર બુધેલની લાખણકા ચોકડી જ નહીં, આ જ હાઈવે પર આગળ આવેલા ભંડારિયા ગામ પાસેની ધાવડી માતાજી વાળી ચોકડીએ પણ આવી જ ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં હાઈવે પર લગાવાયેલી સ્ટ્રીટ લાઈટો ક્યારેય ચાલુ જ થતી નથી. સૌથી મોટો ખતરો એ છે કે, આ ચોકડી પાસે રોડ પર તીવ્ર વળાંક છે, જેના કારણે રાત્રિના અંધારામાં કે દિવસે પણ  સામેથી આવતું વાહન દૂરથી બિલકુલ દેખાતું નથી. પરિણામે હાઈવેને પાર કરવા માંગતા સ્થાનિક લોકો જીવનું જોખમ લઈને અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાઈવે ઓથોરિટીની આ બેદરકારી સામે જનતામાં આક્રોશ વ્યાપેલ છે.