Gujarat

ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગાયે આતંક મચાવતા નાસભાગ, બે વ્યક્તિને કચડી નાખ્યા

By GS TEAM
28 Dec 20252 mins read
ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગાયે આતંક મચાવતા નાસભાગ, બે વ્યક્તિને કચડી નાખ્યા

શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે તોફાની બનેલી ગાયે બાઈક સવાર સહિત બે યુવકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક સવાર ગંભીર રીતે ઘવાતા તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. રખડતા ઢોર મુદ્દે સામાજિક કાર્યકરે પાલિકા અને પશુપાલ કોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે આજે બપોરે એક ગાય તોફાને ચડતાં વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પંચમ ઇલાઇટ પાસે ગાયે બાઈક સવાર યુવકને ભેટી મારી જમીન પર પાડી દઈ પગ વડે કચડી નાખતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી લાકડીઓ વડે ગાયને હટાવી યુવકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનામાં ગાયે રસ્તા વચ્ચે ઊભા રહેલા અન્ય એક યુવકને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવક માણેજા વિસ્તારમાં રહેતા વિનુ ડાભી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે સામાજિક કાર્યકરે પશુપાલકો તેમજ મ્યુ. કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રખડતા પશુઓના કારણે શહેરમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે અને નાગરિકોમાં ભયનો માહોલ છે. પશુપાલકોએ પોતાના પશુઓની જવાબદારી લેવી જોઈએ અને મ્યુ. કોર્પોરેશને પશુઓના ટેગિંગ તેમજ રખડતા પશુઓ પકડવાની કામગીરીમાં કડકાઈદાખવવી જરૂરી છે. કરોડો રૂપિયા ઢોર ડબ્બાની કામગીરી પાછળ ખર્ચાયા છતાં રખડતા ઢોર અંગેની ઢગલાબંધ ફરિયાદો યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો ७.