માળિયા મિયાણા નગરપાલિકામાં કોંગ્રેસને 24 માંથી 24 બેઠક મળી
ઘોઘામાં કોંગ્રેસનો આઝાદી પછી પ્રથમ વાર પરાજય પણ થયો
સર્વત્ર નિરાશા વચ્ચે માળિયા મિયાણામાં આશાજનક પ્રદર્શન
Updated: Mar 2nd, 2021
અમદાવાદ,2, માર્ચ,2021,મંગળવાર
સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરીણામો આમ તો કોંગ્રેસની અપેક્ષા અને આશા કરતા વિપરિત આવ્યા છે. અનેક નગરપાલિકાઓમાં કોંગ્રેસને એક પણ બેઠક ના મળતા વ્હાઇટ વોશ થયો છે. જો કે સાવ એવું પણ નથી કોંગ્રેસે પણ મોરબી જિલ્લાના માળિયા મિયાણા નગરપાલિકાની એક પણ બેઠક ભાજપને જીતવા દીધી નથી. ૨૪માંથી તમામ ૨૪ બેઠકો પર જીત મેળવી છે. પોરબંદરના સિક્કા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપને 12 જયારે કોંગ્રેસને 14 બેઠકો મળી છે અને અન્યને 2 મળી છે.
ઘોઘામાં આઝાદી પછી કોંગ્રેસનો પ્રથમ પરાજય થયો સ્થાનિક સ્વરાજની ચુંટણીના સંજોગો ગમે તેવા વિકટ હોય કોંગ્રેસે કયારેય ઘોઘામાંથી ચુંટણી હારી નથી. ઇતિહાસ ગવાહ છે કે આઝાદી પછી ઘોઘામાં એર પણ વાર નહી હારનાર કોંગ્રેસની ઘોઘામાં હાર થઇ છે. કોંગ્રેસના ગઢ ગણાતો ઘોઘાની તાલુકા પંચાયતમાં કુલ ૨૦ બેઠકો છે જેમાંથી ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૮ બેઠકો મેળવી છે. પછાત વર્ગની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ભાજપનો વિકાસનો મુદ્વો ચાલી ગયો છે. લોકોએ પ્રથમ વાર પોતાની મૂળ પાર્ટીને છોડીને અન્યત્ર મતો આપ્યા છે. કોંગ્રેસનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલું પતન થયું છે કે ઘોઘા પણ સચવાયું નથી.
કચ્છની તમામ પાંચેય નગરપાલિકાઓને લાગ્યો કેસરિયો રંગ
કચ્છ જિલ્લા ઉપરાંત ૧૦ તાલુકા પંચાયત અને અંજાર, ભૂજ, ગાંધીધામ, માંડવી અને મુદ્વા એમ પાંચ નગરપાલિકાઓની ચુંટણીઓ યોજાઇ હતી. આ પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે. ભુજમાં ૪૪ બેઠકોમાંથી ૩૬ ભાજપ જયારે માત્ર ૮ માં કોંગ્રેસનો વિજય થયો હતો. ગાંધીધામમાં ૫૨ માંથી ૪૭ ભાજપ અને ૫ કોંગ્રેસને ફાળે ગઇ હતી. માંડવીમાં ૩૬ માંથી ૩૧ ભાજપ જયારે ૫ બેઠક પર કોંગ્રેસને મળી હતી. અંજારમાં ૩૬ માંથી ૩૫ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મુદ્રામાં ૨૮માંથી ૧૯ ભાજપને જયારે ૯ કોંગ્રેસને મળી હતી. આવી જ રીતે ૧૦ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો હતો.