વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની પ્રવેશ પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે.ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયબીકોમમાં પ્રવેશ પરીક્ષા થકી એડમિશન આપવા માટેની કવાયત સત્તાધીશોએ શરુ કરી છે.
કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા બે વર્ષથી ૬૫૦૦ બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે.બેઠકો ઘટાડવામાં આવી છે પણ મેરિટ પર પ્રવેશ આપવાની પ્રક્રિયા હજી સુધી ચાલુ રખાઈ હતી.જોકે નવા શૈક્ષણિક વર્ષમાં ધો.૧૨ના વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે પરીક્ષા આપવી પડશે.આ પરીક્ષાના સિલેબસમાં બિઝનેસ મેથ્સ, સ્ટેટેસ્ટિક, બેઝિક એકાઉન્ટિંગ, ઈંગ્લિશ પ્રોફિસિયન્સી, કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજનો સમાવેશ થશે.પ્રવેશ પરીક્ષામાં એવા સવાલો પૂછાશે, જેનો જવાબ ધો.૧૨ સુધી ભણેલા વિદ્યાર્થીઓ આસાનીથી આપી શકશે.પરીક્ષાનો સમય લગભગ દોઢ કલાકનો રહેશે.
એવુ પણ મનાઈ રહ્યું છે કે, પ્રવેશ પરીક્ષાની સાથે સાથે ધો.૧૨માં મેળવેલા માર્કસનું પણ અમુક હદ સુધી વેઈટેજ રહેશે. બંને ધારાધોરણોને ધ્યાનમાં લઈને પ્રવેશ યાદી બહાર પાડવામાં આવશે.કોમર્સ ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, જીકાસની ટીમ સાથે બેઠક બાદ પ્રવેશ પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે.પરીક્ષાનો અભ્યાસક્રમ આવતીકાલ, બુધવાર સુધીમાં વેબસાઈટ પર અને નોટિસ બોર્ડ પર જાહેર કરાશે.
પરીક્ષાનું આયોજન પડકારજનક, ૧૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ પ્રવેશ પરીક્ષા લેવાની તૈયારી તો કરી છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા જોતા પરીક્ષાનું આયોજન મોટો પડકાર સાબિત થશે.એક અંદાજ પ્રમાણે ૧૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જો ઓફલાઈન પરીક્ષા લેવાશે તો વેકેશનમાં પરીક્ષા લેવા માટે અધ્યાપકો અને કર્મચારીઓની વ્યવસ્થા કરવી પડશે અને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તો યુનિવર્સિટીની આઈટી સિસ્ટમ આટલા વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા લઈ શકે તેવી સક્ષમ બનાવવી પડશે.


