જામનગરમાં ઈમામ હુસૈનની શહાદતની યાદમાં કલાત્મક તાજિયાનું ભવ્ય પ્રદર્શન, હુસૈની માહોલ છવાયો
Muharram 2025: જામનગરમાં રવિવારે (છઠ્ઠી જુલાઈ) હઝરત ઈમામ હુસૈન અને તેમના પરિવારજનોની શહાદતની યાદમાં શોકમય છતાં ભક્તિપૂર્ણ હુસૈની માહોલમાં ગરકાવ થયું હતું. શનિવારે (પાંચમી જુલાઈ) સાંજે શહેરમાં કલાત્મક તાજિયા સાથે ચારેબાજુ કરબલાનો માહોલ જીવંત બન્યો હતો.
શહેરના પાંચહાટડી, દરબારગઢ, ખોજા નાકા, ધરારનગર અને બેડી સહિતના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના યુવાન કારીગરો દ્વારા બનાવેલા 700થી વધુ નાના-મોટા તાજિયા દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. આ મનમોહક અને શ્રદ્ધાળુઓએ બનાવેલા તાજિયા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં ગૂંજતા હુસૈની તરાના એટલે કે ધાર્મિક ગીતોથી કરબલાનું સ્મરણ વધુ ઘેરું બન્યું હતું.
આ પવિત્ર અવસરે, ઠેર-ઠેર સબીલોમાં ઠંડા પીણા, મીઠાઈ અને ફરસાણ સહિતની ન્યાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેક મુસ્લિમ બિરાદરોએ આ ન્યાઝનો લાભ લઈને શહીદો પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. જામનગરની આ ઉજવણી ઈમામ હુસૈનના બલિદાન અને શાંતિ, ન્યાય તથા સત્યના સંદેશને યાદ કરાવે છે.