સિવિલમાં 36ની કેપેસિટી સામે 260થી વધુ મૃતદેહો આવતા મુશ્કેલી સર્જાઈ, હવે રાખવા ક્યાં?
Ahmedabad News: પ્લેન ક્રેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થયા છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને ડીએનએ સેમ્પલ લીધા બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે. પરંતુ સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં કોલ્ડ સ્ટોરેજમાં અપૂરતી વ્યવસ્થાથી સવાલો ઉભા થયા છે. હાલ અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં ૩૬ની ક્ષમતા છે અને તેની સામે 266 જેટલા મૃત્તદેહો છે.
અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લેન ક્રેશની ઘટના બાદ કોઈપણ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. બિનસત્તાવાર માહિતી અનુસાર અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 36 મૃતદેહની ક્ષમતા છે. જે પણ મૃતદેહના ડીએનએ પરિક્ષણ તેમજ પોસ્ટમોર્ટમ થઈ ગયા છે તેમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. એવી માહિતી પણ સામે આવી છે કે મૃતકોમાંથી 60 ટકાનો દેહ ભડથું થવાથી પોટલામાં સમાય તેટલો થઇ ગયો છે તો કેટલાકના માત્ર હાથ-પગ મળ્યા છે. તેમને હાલ પોટલામાં કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
મૃતદેહની ઓળખ અને તેને સ્વજન લઈ જાય નહીં ત્યાં સુધી તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા જ પડશે. શુક્રવારે સાંજ સુધીમાં ૨૬૬ મૃતદેહો સિવિલમાં છે. આ મૃતદેહોને હાલ તો સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં કોઈને કોઈ રીતે રાખવામાં આવેલા છે. પરંતુ આ પૈકીના અન્યત્ર મૃતદેહને અન્યત્ર પણ કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવાની આરોગ્ય વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
પરંતુ સ્થિતિ એ છે કે, અન્ય સરકારી હોસ્પિટલોની હાલત પણ કોલ્ડ સ્ટોરેજ મામલે ઠંડીગાર સ્થિતિ છે. સોલા સિવિલમાં 18, વીએસ હોસ્પિટલમાં 12ની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ છે. આમ, 80 લાખની વસતી ધરાવતા અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા માત્ર ૬૬ની છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'પોસ્ટ મોર્ટમ રૂમ હોય ત્યાં જ કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે છે. જેના કારણે અદ્યતન સુવિધા હોવા છતાં એસવીપીમાં કોલ્ડ સ્ટોરેજ નથી. શાહીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ધરાવે છે.
સોલા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારાઇ હતી
સોલા સિવિલમાં ગયા વર્ષે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 12થી વધારીને 18 કરવામાં આવી હતી. વર્ષ 2023માં સંપૂર્ણ વર્ષ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 12 કોલ્ડ સ્ટોરેજમાં ૨૪૮ ડેડબોડીને રાખવામાં આવી હતી. જેની સામે વર્ષ 2024માં 385 ડેડબોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી હતી.
પોસ્ટમોર્ટમ રૂમ બહાર માથું ફાડી દે તેવી દુર્ગંધ
અમદાવાદ, શુક્રવાર સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે મોડી સાંજ સુધીમાં મોટાભાગના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હાલ સિવિલ પરિસરમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમના ગેટથી 80 મીટર બહાર સુધી માથું ફાડી દે તેવી દુર્ગંધ આવી રહી છે.