Get The App

પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે?

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે? 1 - image


Ahmedabad Plane Crash News : વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદમાં પ્લેન-ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદ્દઅંશે ફ્યુઅલ પમ્પ બ્લોક થવાનું કારણ હોવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. વિમાન જે રીતે રવાના થયું અને થોડી જ ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઈંધણ ન મળવાથી એન્જિન જ બ્લોક થવાથી સ્થિતિ પાયલોટના હાથ બહાર જતી રહી હોવાનું નિષ્ણાતો અને પાયલોટ્સ માની રહ્યાં છે. માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચીને બોઈંગ ધરાશાયી થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી હતી તે મુદ્દો જ તપાસ હેઠળ છે. ગુજરાતના ઈતિહાસમાં કલંકરૂપ વિમાન કરૂણાંતિકાના કારણો સ્પષ્ટ થતાં મહિનાઓ વિતી શકે છે.

અમદાવાદ રન-વે છોડયો તેની એક જ મિનિટમાં 625 ફૂટની ઊંચાઈએથી અચાનક જ જમીન તરફ ધસી જઈ એરપોર્ટથી માંડ ચાર-પાંચ કિ.મી. દૂર લંડન જતી ફ્લાઈટ ધરાશાયી થઈ ગઈ. વિમાન બી. જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં બે બિલ્ડીંગ સાથે અથડાવાથી 268 લોકોના જીવ ભરખી જનારી ઘટનાના કારણો અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે. તપાસના ખરાં કારણો સ્પષ્ટ થતાં લાંબો સમય વિતે તેમ છે ત્યારે ઉડાનના અનુભવીઓ વિવિધ કારણો ચર્ચી રહ્યાં છે.  અચાનક જ વિમાનના બન્ને એન્જિન બ્લોક થયાં અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું. આ પ્રકારે વિમાનનો એન્જિન પાવર થંભી જવા પાછળ ફ્યૂઅલ મળવાનું બંધ થયું હોય તેવી સંભાવના ટોચ ઉપર છે. નિષ્ણાતો કહે છે કે, ફ્યુઅલ પમ્પ બંધ થઈ જવાની એન્જિન કામ કરતું બંધ થઈ જાય છે. બીજી સંભાવના ફ્યઅલ કન્ટામિનેશન એટલે કે ઈંધણમાં એવો કચરો આવી જાય કે એન્જિન બ્લોક થઈ જાય. પણ આવી શક્યતા ભાગ્યે જ રહે છે તે સંજોગોમાં ફ્યુઅલ પમ્પ બંધ થવાની કારણ મુખ્ય હોઈ શકે છે.

વિમાન ઉડાન ભરતું હોય ત્યારે ઓઈલ પ્રેશર પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત બેટરી કે એન્જિનમાં સ્પાર્ક થાય, ડયુઅલ એન્જિન માલ ફંક્શન સહિતની ટેકનિકલ ખામી પણ એન્જિન બ્લોક થવામાં ભાગ ભજવી શકે છે. જો કે, અમદાવાદના અને આ પ્રકારે રન-વે ઉપરથી રવાના થયાની થોડી જ ક્ષણોમાં વિમાન આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જાય તો પરિસ્થિતિ પામીને પરત રન-વે ઉપર લાવી નહીં શકાયાની ઘટના પ્રથમ વખત બની છે. નિષ્ણાતોના મતે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના અનુભવી પાયલટ સામે અચાનક જ એન્જિન બ્લોકની સ્થિતિ આવી પડી અને તે નિઃસહાય જણાયાં હતાં. સામાન્યતઃ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે ફ્લાઈટ રવાના થાય તે પહેલાં ગ્રાઉન્ડ સ્ટાફ પૂરતી ચકાસણી કરતો હોય છે. ગ્રાઉન્ડ  ટાઈમિંગ ગણાતી ફ્લાઈટ ચકાસણીની કામગીરી અને ઈંધણ પૂરવા સહિતની કામગીરી 40 થી 45 મિનિટ સુધી ચાલતી હોય છે. આ દરમિયાન ફ્યૂઅલ, લેન્ડિંગ ગિયર, કેબલ, ફ્લેપ એટલે કે વિમાનની પાંખો સહિતની તપાસ 30થી 35 લોકોની મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ નિષ્ણાતોની ટીમ કરતી હોય છે. કોઈપણ વિમાનમાં 200 જેટલા કમ્પ્યુટરાઈઝડ ઉપકરણો હોય છે. આ ઉપકરણો ઉડાન માટે આવશ્યક તમામ ટેકનિકલ બાબતો પાયલટને તેની સ્ક્રીન ઉપર દર્શાવે છે અને ભયની કોઈપણ સ્થિતિમાં તરત જ વોર્નિંગ એલાર્મ વાગે છે.

અમદાવાદથી લંડનની ફ્લાઈટે ટેક-ઓફ કર્યું ત્યાં સુધી બધું સામાન્ય હોય તેવા દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. રન-વે પરથી ફ્લાઈટે ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થતી જણાઈ હતી. નિષ્ણાતોના મતે પાયલટે લેન્ડિંગ ગિયર અપ કર્યાં નહોતાં તેમજ ટાયર્સ પણ નીચે જ તાં તે બન્ને બાબત કંઈક ગુંચવાડો હોવાનો અણસાર આપી જાય છે.  આ સ્થિતિ પાયલટને ઈમરજન્સી લેન્ડિંગની આશંકા હોવાનો અંદાજ આપી જાય છે. નોંધપાત્ર બાબત એ છે કે,  વિમાનની નોઝ (ટોચ) છેલ્લે ઉપરની તરફ જ જોવા મળી છે. આથી, પાયલટે વિમાન હવામાં રહે તે માટે પૂરતાં પ્રયાસો કર્યાં હોવાનું જણાય છે. વિમાનની નોઝ ઉપર હોવાના કારણે જ પ્રથમ તેની ટેઈલ ટકરાઈ હતી. પરંતુ, માત્ર 600 ફૂટ જેટલી ઊંચાઈએ જ દુર્ઘટના બનવાથી ક્રેશ લેન્ડિંગની આશંકા ટાળવાના પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. એ જ રીતે રન-વે ઉપર વિમાન ધસમસતું આગળ ધપ્યું ત્યાં સુધી અતિ ગંભીર સ્થિતિના કોઈ અણસાર પાયલટને નહોતા. આથી, ડબલ એન્જિન ફેલ્યોરનો રેર એક્સિડન્ટ સર્જાયો હોવાનું નિષ્ણાતો માને છે.  ફ્લાઈટ ટેક-ઓફ થયાંની થોડી જ ક્ષણોમાં ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાવા પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી કારણરૂપ હતી તે સૌથી મોટો સવાલ છે. નિષ્ણાતો અને પાયલટ્સના મતે  વર્ષ 2012થી 2025 સુધીના 13 વર્ષના ગાળામાં સિવિલ એવિએશન વિભાગના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ ૨૨૩ નાના-મોટા પ્લેન  અકસ્માતની તપાસ કરવી પડી છે બહુ મોટી વાત છે. આથી, અમદાવાદની વિમાન દુર્ઘટનાના પગલે ફ્લાઈટ સેફ્ટી સ્ટાન્ડર્ડસમાં ધરખમ સુધારાનો સમય પાકી ગયો છે તે નિશ્ચિત છે.

ફ્લાઈટ ધરાશાયી થવાના સંભવિત કારણો

- ફ્લાઈટ રન-વે ઉપર નોર્મલ જણાઈ હતી. પણ, ટેક-ઓફ પછી ફ્યૂઅલ પમ્પમાં ગરબડથી ઈંધણ મળવાનું બંધ થયું હોઈ શકે.

- ફ્લાઈટના શેડયૂલ શિયાળો, ઉનાળો અને ચોમાસા મુજબ ગોઠવાતાં હોય છે કારણે વાતાવરણની અસર થાય છે. ગરમી વધુ હોય ત્યારે ફ્લાઈટ ડિપાર્ચર ઉપર અસર પડે છે. ખાસ કરીને હવા ગરમ હોય ત્યારે ઘનત્વ ઓછું થવાથી વિમાનના એન્જિન ઉપર લોડ વધે છે.

- વાતાવરણ અનુસાર વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી અને સામાનનું વજન ઓછું રાખવાની કાળજી લેવી પડે છે.

- ફ્લાઈટ્સથી ઓવરલોડ એરપોર્ટ્સ ઉપર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા નબળાં મેન્ટેનન્સ અને ટેકનિકલ ખામીને નજરઅંદાજ કરવાની સ્થિતિ.

- ઈલેક્ટ્રોનિક સોફ્ટવેર સિસ્ટમ ફેલ્યોરથી એન્જિન બંધ થઈ ગયાં.

Tags :