અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
Ahmedabad Plane Crash : એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે.
જ્યારે બાકીના 19 મૃતદેહ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પ્લેન ક્રેશની ઘટના બાદ મેસ અને હોસ્ટેલ તેમજ આસપાસમાંથી લાપત્તા થયેલા લોકો અંગે વિગતો એકઠી કરવા માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલા બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી.
ત્યારે હજુ પણ મેસમાં કામ કરતા સ્ટાફના લોકો તેમજ મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરવા આવતા 15થી વધુ લોકો લાપત્તા છે. જેથી પોલીસને મળી આવેલા મૃતદેહો લાપત્તા વ્યક્તિોના હોવાની આશંકા છે. જેથી લાપત્તા વ્યક્તિઓના પરિવારજનો ડીએનએ રિપોર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસને આશંકા છે કે વિમાન ક્રેશ થયુ ત્યારે કેમ્પસમાં પણ કેટલાંક નજીકમાં હોવાની શક્યતા છે. જેથી તે પણ અકસ્માતનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોનો સાચો આંક બહાર આવશે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબો પોલીસ સાથે સંકલન કરીને ચોક્કસ આંકડો તમામ ડીએનએ રિપોર્ટ બાદ જાહેર કરી શકે છે.