વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓની મુશ્કેલી વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ, ડ્રેનેજ અને બ્રિજના કામોને કારણે નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનના કામો છથી આઠ મહિના સુધી ચાલે તેવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાક બ્રિજના કામો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યા છે.
શહેરમાં જ્યાં જ્યાં પાણીની ટાંકી અને સંપ આવેલી છે, ત્યાં આસપાસના રસ્તાઓ વારંવાર તોડી નાખવામાં આવતા નાગરિકો અકળાઈ રહ્યા છે. ઘણા સ્થળોએ રસ્તાના પેચવર્કની કામગીરીમાં યોગ્ય માપદંડો જળવાતા નથી અને કામ દરમિયાન યોગ્ય સુપરવિઝન થતું નથી એવી ફરિયાદો ઉઠી રહી છે.
નવો રસ્તો બનાવતા પહેલાં ભૂગર્ભ માળખાકીય સુવિધાઓ સુધારવામાં ન આવતાં થોડા જ દિવસોમાં ફરી રસ્તા તોડી નાખવાની નોબત આવે છે.
શહેરમાં અવારનવાર પાણીની લાઈન તૂટી જતા રસ્તાઓ ફરી ખોદવામાં આવે છે. કેટલાક માર્ગો પર ભૂવા પડવાના બનાવો પણ સામે આવે છે. ઘણા સ્થળોએ તાત્કાલિક સમારકામ કર્યા બાદ પણ માર્ગને રાબેતા મુજબ શરૂ કરવામાં મોડું થાય છે. કેટલાક નવા બનેલા રસ્તાઓ અંગે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે.
કામના સ્થળે વિગતવાર માહિતી દર્શાવતા બોર્ડ ન મૂકાતા કામગીરીમાં પારદર્શિતા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
મ્યુનિ. અધિકારીનું કહેવું છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન જાનમાલને નુકસાન ન થાય તે માટે વરસાદી કાંસ અને ડ્રેનેજના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ જૂની પાણીની લાઈનો બદલવાની તેમજ નવી પાણીની લાઈન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ તમામ કામો શક્ય તેટલા વહેલા પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ધૂળ ઉડતા નાગરિકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી
હાલ શહેરના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલા કામોને કારણે ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે. ધૂળ ઉડતા નાગરિકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતી કામગીરીના કારણે દુકાનોમાં ગ્રાહકોની આવક ઘટી ગઈ છે. ધૂળથી બચવા માટે માલસામાન ઢાંકીને રાખવો પડે છે, જ્યારે ભાડે દુકાન ધરાવતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની છે.
કામગીરી સ્થળે ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના પગલાં અંગે સવાલો
નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક જામના કારણે સમય તેમજ પેટ્રોલ-ડીઝલનો વ્યય વધી રહ્યો છે. કામના સ્થળે રસ્તો સાંકડો થઈ જવાથી અથવા ડાયવર્ઝનના કારણે પણ વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં નાના-મોટા અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નાગરિકોનો મત છે કે કામ ચાલી રહ્યું હોય તેવા સ્થળોએ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના પગલાં લેવામાં આવવા જોઈએ.
32 રસ્તા પર ચાલતી કામગીરી, લોકોને રાહત આપવા રાત્રે પણ કામ કરવાની સૂચના
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ 13 રસ્તાઓ પર પાણીની લાઈન સંબંધિત કામગીરી ચાલી રહી છે જ્યારે 16 રસ્તાઓ પર ડ્રેનેજ લાઈનના કામને કારણે અવરજવર પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં જૂની ડ્રેનેજ લાઈનો બદલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં વધતા ટ્રાફિક ભરણને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઓછી તકલીફ પડે તે માટે કોન્ટ્રાક્ટરોને રાત્રિના સમયમાં પણ કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક વહેલી તકે ફરી રાબેતા મુજબ શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વધુમાં જણાવાયું હતું કે, હાલ ચાલી રહેલા કેટલાક રસ્તાના કામો માર્ચ મહિનામાં પૂર્ણ થશે જ્યારે કેટલાક કામો એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. શહેરમાં પેચવર્કનો મુદ્દો પણ ગંભીર બન્યો હોવાથી તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત કામકાજ ચાલી રહેલા સ્થળોએ ધૂળ ઉડીને નાગરિકોને તકલીફ ન પડે તે માટે કોન્ટ્રાક્ટરોને જરૂરી સાવચેતી રાખવા તથા યોગ્ય વ્યવસ્થા કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.








