બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, દોઢ લાખ રૂપિયામાં માસૂમને વેચવામાં આવતું હતું, આરોપીઓ જેલહવાલે
Child Trafficking Racket : અમદાવાદના ધોળકામાં એક મજૂર પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતાં તપાસમાં બાળતસ્કરીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે બાળકોની તસ્કરીના રેકેટ કેસની તપાસમાં 15 દિવસથી સાત મહિનાની ઉંમરના નવજાત શિશુઓ અને બાળકોના વેચાણ અને સ્થાનાંતરણ સાથે સંકળાયેલા એક બાળકો તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં દોઢ લાખ રૂપિયામાં માસૂમને વેચવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત 5ની ધરપકડ કરીને જેલહવાલે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં કાર્યરત બાળકોની તસ્કરીના નેટવર્કના સક્રિય સભ્યો હોવાનું સામે આવ્યું છે.
બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નેટવર્ક એગ ડોનેશન પ્રોગ્રામ સાથે સંકળાયેલી મહિલાઓનો ઉપયોગ કરીને બાળકોની તસ્કરી કરાતી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓમાં મનીષા નામની મહિલા, તેનો પતિ જયેશ, સિદ્ધાંત જગતાપ અને 'સાવધન' તરીકે ઓળખાતો એક શખ્સનો સમાવેશ થાય છે. જયેશ મનીષા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો
મળતી માહિતી મુજબ, એગ ડોનેટ કરતી મહિલાઓને રૂ.20,000 થી રૂ.25,000 ની વચ્ચે આપવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, એક કેસમાં આરોપી દ્વારા એક બાળકને રૂ.1.5 લાખમાં વેચવામાં આવ્યું હતું, જેમાં બાળકને રૂ.2.5 લાખમાં ફરીથી વેચવાની યોજના હતી. જ્યારે અન્ય બાળકોની કિંમત રૂ.2 થી રૂ.3 લાખ સુધીની હોવાની શંકા છે. આ રેકેટના કેટલાક સભ્યો IVF કેન્દ્રો સાથે પણ જોડાયેલા હતા, જે સંસ્થાકીય સંડોવણી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે, તાજેતરના એક કેસમાં સવારે 6 વાગ્યે બાળકનું અપહરણ કરીને પછી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લક્ઝરી બસ દ્વારા ઔરંગાબાદ બાળકને લઈ જવામાં આવ્યું હતું. જેમાં 20 કલાકના સમયગાળાની મુસાફરી 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. બાળકને બે વ્યક્તિઓ, બિનલ અને અન્ય એક સાથી દ્વારા મેળવવામાં આવ્યું હતું, જે પછી મનીષા તેમાં જોડાઈ હતી. બિનલ અને મનીષા એકબીજાને લગભગ બે વર્ષથી પડોશીઓ તરીકે ઓળખતા હતા અને એગ ડોનેટમાં પરસ્પર રસ હોવાને કારણે સંપર્કમાં હતા, જેને તેઓ ઝડપી આવકના સ્ત્રોત તરીકે જોતા હતા.
આરોપીઓ વોટ્સએપ-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરતાં
આરોપીઓએ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરી હતી, જેમાં બાળકો ન થતાં હોય તેવા દંપતી અને બાળકોની માંગણીને લઈને ચર્ચા થતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અગાઉ ત્રણ બાળકોને હૈદરાબાદ અને એકને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. હૈદરાબાદ પોલીસે પણ તાજેતરમાં આ પ્રકારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બંને રેકેટ એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે નક્કી કરવાના પ્રયાસો શરૂ છે.
પોલીસે બાળકનું અપહરણ કરીને ઔરંગાબાદ લઈ જવાના આરોપમાં મનીષાના પતિની ધરપકડ કરી છે. જેમાં સાવધાન તરીકે ઓળખાતો વ્યક્તિ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાય છે. જેનો સામે હુમલો અને અપહરણ સહિતના પાંચ જેટલાં ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યભરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં તસ્કરી કરાયેલા બાળકો સાથે મેળ ખાતી કોઈ ગુમ થયેલી બાળકીની ફરિયાદ મળી નથી. અધિકારીઓ છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા બે વર્ષથી ઓછી ઉંમરના ગુમ થયેલા બાળકોના ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે, જેથી સંભવિત પીડિતોની ઓળખ કરી શકાય. જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.