Get The App

'મેં કહ્યું હતું હીરા જોટવા મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ છે, વાત સાચી પડી...', AAP નેતાનો દાવો

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
'મેં કહ્યું હતું હીરા જોટવા મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ છે, વાત સાચી પડી...', AAP નેતાનો દાવો 1 - image


Chaitar Vasava Statement on Hira Jotva: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 'અગાઉ મેં પુરાવા સાથે જાહેર કરી કહ્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી. મેં ત્યારે પણ જાહેર કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને આ કૌભાંડ કર્યું છે. ત્યારે શાસક પક્ષના એક સાંસદે તેમનો બચાવ કર્યો હતો. ત્યારે હીરા જોટવાએ મારા વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી હતી કે ચૈતર વસાવા પર ગુજરાતમાં ક્યારેય પણ ન થયો હોય એટલો મોટો માનહાનીનો કેસ કરીશ. પરંતુ આજે મારી વાત સાચી સાબિત થઈ. ભરૂચના એસપીએ આખરે હીરા જોટવા અને તેના દીકરાની ધરપકડ કરી.'

જીએસટી અને રોયલ્ટી વગરના કરોડોના બિલ પાસ કરાવ્યા

વધુમાં વસાવાએ કહ્યું કે, 'હીરા જોટવા 2017 દરમિયાન આ વિસ્તારમાં આવ્યા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝને આપી દીધા. ત્યારબાદ બધા જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને  બોગસ બિલ બનાવ્યા અને એક પણ રેતી-કપચી ઉતાર્યા વગર જીએસટી અને રોયલ્ટી વગરના કરોડોના બિલો પાસ કરાવ્યા. આ એજન્સીઓમાં પાંચ વર્ષ દરમિયાન 2500 કરોડ રૂપિયા જમા થયા. હીરાભાઈ પોતે આ એજન્સીઓના પ્રોપરાઇટર હતા પરંતુ તે કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે.'

આ પણ વાંચોઃ વડોદરાની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી ભારે પડી : ધો.6ના વિદ્યાર્થીની પેન વાગી જતાં આંખ ફૂટી ગઈ

વિદેશમાં રોકાણ

કોંગ્રેસ નેતા પર આરોપ લગાવતા ચૈતર વરસાવાએ કહ્યું કે, 'હીરા જોટવા લંડનમાં પોતાના દીકરા દિગ્વિજય જોટવા અને અભય જોટવાને કરોડો રૂપિયા હવાલા દ્વારા મોકલ્યા. વિદેશમાં તેમણે એક કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું છે. કારણ કે તેઓ જાણતા હતા કે આ જ નહીં તો કાલ કૌભાંડ જ્યારે બહાર નીકળશે તો વિદેશમાં જઈને પણ સુરક્ષિત થઈ જઈશું તેવું તેવું માનતા હતા.'


સરકારને કરી અપીલ

વસાવાએ સરકારને અપીલ કરતા કહ્યું કે, 'મારી સરકારને અપીલ છે કે, CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે. આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. માટે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી મારી માંગ છે. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે તેવી પણ મેં માંગ કરીએ છીએ. જો સંતોષકારક તપાસ નહીં થાય અને ભાજપને કોંગ્રેસના નેતાઓની હકીકત ઉજાગર કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવ કરીશું અને ગાંધીનગરમાં પણ ઘેરાવ કરીશું. તમામ માહિતી બહાર આવી જોઈએ કે કયા નેતાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને કયા અધિકારીને પણ કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે. કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે, તેને રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે તેવી અમારી માંગ છે.'

6 લોકોની ધરપકડ

સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ ચુકી છે. ભરૂચ પોલીસે 26 જૂને રાત્રે હીરા જોટવાની પૂછપરછ કરવા અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ  હીરા જોટવા સાથે હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી હતી. 27 જૂને હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી. 28 જૂને પીયૂષ નુકાણી જોધા સભાડ અને  સરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આવતીકાલે બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે

હીરા જોટવા કોણ છે?

હીરા જોટવા વર્ષ 2022માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાન ઉતર્યા હતા. તેમણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા. આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. હીરા જોટવા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડ

ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ)  અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.





Tags :