સુરતમાં ભાજપના વોર્ડના મહામંત્રી અને બળાત્કારના આરોપીના ગેરકાયદે દબાણ પર ફર્યું બુલડોઝર
Surat Bulldozer Action: સુરત શહેરના કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 8 ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના સાથી ગૌરવ સિંહે એક યુવતીને કેફી પીણું પીવડાવીને હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ બાદ સુરતના રાજકારણમાં હડકંપ મચ્યો છે. આરોપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. બળાત્કારની પોલીસ ફરિયાદ બાદ આજે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોને સિંગણપોર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુના સરકારના અનામત પ્લોટમાં બળાત્કારના આરોપીએ બનાવેલા ગેરકાયદેસર નોનવેજ ઢાબાનું ડિમોશન હાથ ધર્યું હતું.
ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
જોકે, ભાજપના આ વોર્ડના મહામંત્રીએ ગેરકાયદેસર ઢાબા બનાવ્યો હતો, ત્યારે જ સોસાયટીના સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરે પણ ફરિયાદ કરી હતી. જોકે રાજકીય દબાણને કારણે આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું. બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ આજે કતારગામ ઝોન દ્વારા ભાજપના વોર્ડના મહામંત્રીનું ગેરકાયદે બાંધકામ દૂર કરી દીધું હતું.
બળાત્કારનો આરોપ
સુરતના જહાંગીરપુરામાં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌવર સિંહે સાથે મળીને એક 23 વર્ષીય યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, યુવતીને માદક પદાર્થ પીવડાવીને ભાજપનો મહામંત્રી આદિત્ય હોટેલમાં લઈ ગયો હતો જ્યાં તેનો મિત્ર ગૌરવ પહેલાથી હાજર હતો. બંનેએ સાથે મળીને આ કુકર્મને અંજામ આપ્યો હતો. સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ આ બંને જણા પીડિતાને તેના ઘરની નજીક છોડીને ભાગી ગયા હતા. જ્યારે પીડિત ભાનમાં આવી ત્યારે તેણે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ભાજપે પણ કાર્યવાહી કરતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીના મહામંત્રી પદેથી તાત્કાલિક હાંકી કાઢ્યો હતો.