Bhavnagar NSUI President Arrested: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના ભાવનગર જિલ્લા પ્રમુખ આર્શમાનખાન બલોચની મોટા પાયે ઓનલાઇન IPO રોકાણ કૌભાંડ આચરવા અને ફરિયાદી પાસેથી રૂ.47.50 લાખથી વધુની ઉચાપત કરવાના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અનેક રાજ્યોમાં નોંધાયેલી ઓછામાં ઓછી 27 સાયબર-છેતરપિંડીની ફરિયાદો સાથે પણ સંકળાયેલો છે અને છેલ્લા દોઢ વર્ષમાં આવા કૌભાંડોમાંથી તેણે કમિશન તરીકે રૂ.1.50 કરોડથી વધુની કમાણી કરી છે.
IPO ઇન્વેસ્ટમેન્ટના નામે કર્યું લાખોનું ફ્રોડ
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીને 3 નવેમ્બર 2024ના રોજ '107 ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયો હતો. આ ગ્રુપ ફેલિસિટી વોલ્શ, જેફ મેસન અને બેરેંગેરે બ્લાઝ્ઝિક નામના વિદેશી નાણાકીય સલાહકારો તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. ગ્રુપના સભ્યોએ IPO અને સ્ટોક ટ્રેડ પર ઊંચા વળતરને પ્રોત્સાહન આપતા મેસેજ મોકલ્યા અને ફરિયાદીને FPIWM નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતું.
આ પછી ફરિયાદીએ આરોપીઓનો વિશ્વાસ કરીને કથિત સલાહકારો દ્વારા મોકલવામાં આવેલા અનેક બેંક ખાતાઓમાં કુલ રૂ.50.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમાંથી માત્ર રૂ.3 લાખ પરત કરવામાં આવ્યા અને બાકીના રૂ.47.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ભાવનગરમાં કેન્દ્રિત નેટવર્ક હોવાનું બહાર આવ્યું
ચોક્કસ ટેકનિકલ લીડ્સ પર કાર્યવાહી કરીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર સુધીના નાણાંનું ટ્રેસિંગ શોધી કાઢ્યું અને શિહોર નજીકના બુઢાણા ગામના રહેવાસી આર્શમાન ખાનની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આર્શમાન ખાનની ભાવનગર NSUIના પ્રમુખ છે અને 2025ની ગુજરાત યુથ કોંગ્રેસની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેણે સમગ્ર કૌભાંડમાં છેતરપિંડીના નાણાં મેળવવા અને ખસેડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે આરોપીએ વિવિધ વ્યક્તિઓના નામે બચત ખાતા ખોલવા માટે અનેક એજન્ટોની મદદથી કામ કર્યું હતું. તેણે આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીના નાણાં મેળવવા માટે કર્યો હતો, જે પછી કથિત રીતે આંગડિયા કુરિયર્સ દ્વારા તેને મોકલવામાં આવ્યા હતા.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે, આવા એક HDFC બેંક ખાતામાં મળેલા રૂ.2.99 લાખ સૈયદ મોઈનનાવાઝ નામના સહયોગીએ ચેકથી ઉપાડ્યા હતા, પછી બીજા એક વ્યક્તિ મોહમ્મદ જુનૈદને આપવામાં આવ્યા હતા. આ પછી તેણે આ રકમ આંગડિયા ચેનલો દ્વારા આરોપીને મોકલી હતી.
ભારતભરમાં 11 બેંક ખાતા, 27 સાયબર ફરિયાદો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આર્શમાન ખાને HDFC બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, SBI, પંજાબ નેશનલ બેંક અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત 11 બેંક ખાતાઓમાં છેતરપિંડીભર્યા થાપણોનું સંચાલન કર્યું હતું. આ ખાતાઓ સાથે જોડાયેલી કુલ 27 સાયબર છેતરપિંડીની ફરિયાદો ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નોંધાઈ હતી.
દુબઈ સ્થિત ચાઇનીઝ સાયબર ફ્રોડ સિન્ડિકેટ સાથે લિંક
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી 'ચોકરભાઈ' તરીકે ઓળખાતા દુબઈ સ્થિત હેન્ડલર સાથે નિયમિત સંપર્કમાં હતો, જે કથિત રીતે ચાઇનીઝ સાયબર-ફ્રોડ નેટવર્ક વતી નાણાંની હિલચાલનું સંકલન કરતો હતો. આર્શમાન લગભગ 18 મહિના પહેલા તેના ભંગારના વ્યવસાય માટે વારંવાર દુબઈ જતો હતો, જે દરમિયાન તેણે છેતરપિંડી સિન્ડિકેટના સભ્યો સાથે સંબંધો સ્થાપિત કર્યા હોવાનું સામે આવ્યું છે. તેણે છેલ્લા 18 મહિનામાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 25% સુધી કમિશન મેળવ્યું હોવાનો આરોપ છે, જે અંદાજે રૂ.1.50 કરોડથી વધુ છે.
આર્શમાન સામે પાલિતાણા અને વડોદરામાં ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ સહિત અગાઉના કેસ પણ નોંધાયેલા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, રેકેટમાં સામેલ અન્ય હેન્ડલર્સ, પૈસાના સોદાગરો અને વિદેશી ઓપરેટરોને ઓળખવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જપ્ત કરાયેલા બેંક ખાતાઓ અને ડિજિટલ પુરાવાઓનું ફોરેન્સિક ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ કરતાં રોકાણ-છેતરપિંડી નેટવર્કમાં વધુ આરોપીની ધરપકડ થવાની શક્યતા છે.


