બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત્: તમામ 16 બેઠકો પર વિજય

Banas Dairy: એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીના સમર્થિત ઉમેદવારોએ વિજય મેળવીને તમામ 16 બેઠકો પર પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. ખાસ કરીને, ડેરીમાં થયેલા બળવાના કારણે યોજાયેલી ચૂંટણી દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવારની જીત થતાં શંકર ચૌધરીની નેતાગીરી પર મહોર લાગી છે.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો
દાંતા બેઠક પર અમરત પરમારનો વિજય
બનાસ ડેરીના નિયામક મંડળમાં કુલ 16 બેઠકો હતી. તેમાંથી 15 બેઠકો પર ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જોકે, દાંતા બેઠક પર વર્તમાન ડિરેક્ટરે ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર સામે બળવો કરતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
આ બેઠક માટે શુક્રાવારે (10 ઑક્ટોબર) 100 ટકા એટલે કે 85 મતોનું મતદાન નોંધાયું હતું. આજે હાથ ધરાયેલી મતગણતરીમાં મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમાર વિજયી બન્યા હતા. તેમને કુલ 85 મતોમાંથી 55 જેટલા સ્પષ્ટ બહુમતી મળી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત
શંકર ચૌધરીનો 16 બેઠકો પર દબદબો યથાવત્
અમરત પરમારની આ જીત સાથે જ બનાસ ડેરીના નિયામક મંડળની તમામ 16 બેઠકો પર શંકર ચૌધરી સમર્થિત પેનલે વિજય મેળવ્યો છે. આ પરિણામો સૂચવે છે કે બનાસ ડેરીના સમગ્ર વહીવટી માળખા પર અને તેના કરોડો રૂપિયાના વાર્ષિક ટર્નઓવર પર શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત્ રહ્યો છે. આ જીતથી બનાસકાંઠાના સહકારી રાજકારણમાં તેમનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે.