Gujarat

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે!

By GS TEAM
10 Aug 20253 mins read
TukuTouch Logo
આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૂ કરાયા છે. અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે 2020ની માફક ચૂંટણીની વ્યૂહનીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસે સમાધાનની ફોર્મ્યુલા અમલમાં મૂકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે!

Image: amuldairy



Amul Dairy Anand: આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૂ કરાયા છે. અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે 2020ની માફક ચૂંટણીની વ્યૂહનીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસે સમાધાનની ફોર્મ્યુલા અમલમાં મૂકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

ઉદ્યોગપતિઓએ કરી ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી

અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરવામાં આખરી તબક્કો બાકી છે. તારીખ 12 ઓગસ્ટે મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું એલાન ગમે ત્યારે થઈ શકે છે. આણંદ શહેરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અંગત સમર્થક અને દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી તરીકે કામગીરી કરાઇ છે. આ મધ્યસ્થી દ્વારા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની ગુપ્ત સ્થળે બેઠક મળી હતી. જેમાં ભાજપને સાત અને કોંગ્રેસની પાંચ બેઠકો મળે તેમજ ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ મળે તેવી વ્યૂહનીતિ ઘડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  

આ પણ વાંચોઃ રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા

સહકારી ક્ષેત્રના પંડિતો દ્વારા જાણવા મળ્યું કે, 2020ની ચૂંટણીમાં ભાજપને સાત અને કોંગ્રેસને પાંચ બેઠક મળી હતી. ભાજપે ચેરમેન પદ પોતાની પાસે રાખ્યું હતું. જયારે વાઇસ ચેરમેનનું પદ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને ફાળવ્યું હતું. ગત ટર્મમાં ભાજપે સત્તાનો ઉપયોગ કરીને ત્રણ ડિરેક્ટરોની સરકારી પ્રતિનિધિઓ તરીકે નિમણૂક કરી હતી. પરંતુ, હાઇકોર્ટે નિમણૂક રદ કરતા હવે ભાજપ ફરીથી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તેનું પણ ઘ્યાન રાખી રહી છે. જેથી સામસામી લડાઇમાં ભાજપને અમૂલમાંથી સત્તા ગુમાવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 

રામસિંહ પરમારને હટાવતા સમર્થકો લડી લેવાના મૂડમાં  

અમૂલ ડેરીની ચૂંટણીમાં ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને 16 વર્ષ અમૂલના ડેરીના ચેરમેન રહેલા રામસિંહ પરમારની ભૂમિકા નિર્ણાયક રહેશે. 2020ની ચૂંટણીમાં રામસિંહ પરમારના 10 ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે. તેમને અમૂલમાંથી દૂર કરવામાં આવતા અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રામસિંહ પરમારના સમર્થકો દ્વારા ભાજપની ખેડા અને મહીસાગર જિલ્લાની પેનલોના ઉમેદવારોને પછાડવા માટે ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે. અમૂલની ચૂંટણી સીધી રીતે લડવામાં ભાજપને હારનો સામનો કરવો પડે તો તેના ગંભીર પ્રત્યાઘાતો પડી શકે છે. તેથી ભાજપે સમાધાનની ફોર્મ્યુલા અમલમાં મૂકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી

12માંથી 5 બ્લોકમાં ભાજપ કોંગ્રેસને જીતાડશે?

અમૂલ ડેરીની ચૂંટણીમાં બારમાંથી બોરસદના એક, ખેડાના બે અને મહીસાગર જિલ્લાના બે બ્લોકમાં ભાજપ જીતી ન શકે તેવા ઉમેદવારની પસંદગી કરી કોંગ્રેસનો જીતનો રસ્તો સરળ કરી આપે તેવી સંભાવના છે. અમૂલની ચૂંટણીમાં તેરમાં ડિરેક્ટર તરીકે વ્યક્તિગત સભાસદ હોય છે. જેમાં માત્ર 25 મત છે. આ બેઠક પરથી રણજીત પટેલ વર્ષોથી બિનહરીફ ચૂંટાતા આવે છે. 

3 સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી વાઇસ ચેરમેનમાંથી કોંગ્રેસનો સફાયો

અમૂલ ડેરીમાં 2020માં ભાજપે સત્તા હસ્તગત કરી હતી અને ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. બહુમતિના આધારે વાઇસ ચેરમેન અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે અને રામસિંહ પરમારને ચેરમેન પદેથી દૂર કરાયા હતા. બાદમાં આણંદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઠાને ભાજપમાં પ્રવેશ આપીને ડેરીના વાઇસ ચેરમેન બનાવ્યા હતા.