'મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે...' અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર મંદિરના કર્યા દર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar Gujarat Visit: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલ ગુજરાતના પ્રવાસે છે અને તે અહીં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન, અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી અને ત્યાંના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ અભિનેતાએ મીડિયા સાથે વાતચીત કરી અને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો.
વડાપ્રધાન મોદીના ગામની મુલાકાત
અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન અને સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'હૈવાન'માં વ્યસ્ત છે. આ વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તે ગુજરાત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની આ પહેલી મુલાકાત છે. અક્ષયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'જ્યારે હું ગુજરાત આવ્યો તો મને જાણ થઈ કે, અહીંનું હાટકેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને તેના વિશે અગાઉ પણ ઘણું સાંભળ્યું હતું, એટલે મેં આ મંદિરે દર્શન માટે આવવાનું નક્કી કર્યું.'

મંદિરમાં 'સ્વયંભૂ શિવલિંગ' અને ધ્વનિનો અનુભવ
એક્ટરે મંદિરના દર્શન પછી પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, 'મને મંદિરની અંદર કેટલીક અદ્ભુત બાબતોનો અનુભવ થયો. જ્યારે મંદિરમાં શાંતિ હોય છે ત્યારે ધીમે ધીમે 'ઓમ નમઃ શિવાય'ની ધ્વનિ સંભળાય છે. મને મંદિરના પંડિતે જણાવ્યું કે અહીંનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું.'
અક્ષય કુમાર હાટકેશ્વર મંદિરના દર્શન બાદ વડાપ્રધાન મોદી જ્યાં ભણ્યા છે તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત, તેણે વડનગરમાં બનેલા અદ્યતન પુરાતત્વ સંગ્રહાલયનો પણ પ્રવાસ કર્યો હતો.
અક્ષયના આગામી પ્રોજેક્ટ્સ
અક્ષય કુમારની તાજેતરની ફિલ્મ 'જોલી એલએલબી 3' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. લાંબા સમય પછી તેને ક્લીન હિટ ફિલ્મ મળી હતી. હવે અક્ષય ઘણી કોમેડી ફિલ્મોમાં જોવા મળશે. તે આવતા વર્ષે પ્રિયદર્શનની ત્રણ ફિલ્મો – 'ભૂત બંગલા', 'હૈવાન' અને 'હેરા ફેરી 3'માં દેખાશે. આ ઉપરાંત, તે મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં પણ કામ કરે છે અને નીરજ પાંડેની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ 'ક્રેક'માં પણ જોવા મળી શકે છે.








