અમદાવાદ પ્લેન ક્રેશના એક મહિના અગાઉ જ CAA-UKએ ફ્યુલ સ્વિચ અંગે આપી હતી ચેતવણી, મોટો ખુલાસો
Ahmedabad Plane Crash: અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. તેમાં એર ઇન્ડિયા, બોઇંગના નિવેદનો અને સરકારના રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. હાલમાં જએક મહત્ત્વની વાત જાણવા મળી છે કે, આ દુર્ઘટનાના માત્ર ચાર અઠવાડિયા પહેલાં જ બ્રિટનની સિવિલ એવિએશન ઑથોરિટી(CAA)એ ફ્યુલ કંટ્રોલ સ્વિચ મુદ્દે ઍલર્ટ આપ્યું હતું. તેણે બોઇંગ 787 ડ્રીમલાઇનર સહિત પાંચ મોડલ પર રોજિંદા તપાસના નિર્દેશ આપ્યા હતા. પરંતુ એર ઇન્ડિયાએ તેને અવગણ્યો હતો અને ફ્યુલ સ્વિચની ચકાસણી કરી ન હતી.
બ્રિટનની CAAએ 15 મેના રોજ સિક્યોરિટી ઍલર્ટ જાહેર કર્યું હતું કે, બોઇંગના અમુક વિમાનોમાં લગાવેલી ફ્યુલ શટ ઑફ વૉલ્વ એક્ટુએટર એક સંભવિત જોખમ ઊભું કરી શકે છે. જેથી તમામ એરલાઇન ઓપરેટર્સને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, તે FAAના એરવર્ધીનેસ ડાયરેક્ટિવ(AD)ની સમીક્ષા કરે. ઍલર્ટમાં બોઇંગના 737, 757, 767, 777 અને 787 મોડલ સામેલ હતા. આ મોડલના વિમાન ધરાવતી એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, પોતાના વિમાનો પર ફ્યુલ શટઑફ વૉલ્વ એક્ટુએટરની તપાસ, ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ ફેરફાર કરો. ઉલ્લેખનીય છે, જેમાંથી 787 મોડલ અમદાવાદમાં ક્રેશ થયું હતું.
આ પણ વાંચોઃ 'અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું...', મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા
એર ઇન્ડિયાએ ઍલર્ટને અવગણ્યું
એર ઇન્ડિયાએ આ ઍલર્ટની અવગણના કરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું કે, FAA દ્વારા 2018માં જાહેર સ્પેશિયલ એરવર્ધીનેસ ઇન્ફોર્મેશન બુલેટિન (SAIB) માત્ર એક સલાહ હતી, જે ફરિજ્યાત ન હતી. આથી અમે ફ્યુલ કંટ્રોલ સ્વિચની તપાસ કરી નહીં. AAIB દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રારંભિક રિપોર્ટમાં લખ્યું હતું કે, એર ઇન્ડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સલાહ હોવાથી તેણે ટેસ્ટિંગ કર્યું નહીં. કારણકે, SAIBએ માત્ર સલાહ આપી હતી, ફરિજ્યાતપણે ચકાસણી કરવા કહ્યું ન હતું. VT-ANB વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ 2019 અને 2023માં બદલવામાં આવ્યા હતા. પરંતુ તે ફ્યુલ કંટ્રોલ સ્વિચ સંબંધિત નથી.
શું કહ્યું પ્રારંભિક રિપોર્ટમાં?
પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 2023 બાદથી VT-ANB વિમાનમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ સંબંધિત કોઈ સમસ્યા આવી નથી. હવે આ સૌથી મોટો ગંભીર સવાલ બન્યો છે કે, એર ઇન્ડિયાએ CAAના 15 મે, 2025ની સુરક્ષા ચેતવણીને કેમ ગંભીરતાપૂર્વક લીધી ન હતી. જ્યારે આ ઍલર્ટ ઓપરેટર્સ માટે સ્પષ્ટરૂપે કાર્યવાહી કરવાનો સંકેત આપી રહ્યું હતું. જો સલાહ હોય તો પણ એર ઇન્ડિયાની જવાબદારી બને છે કે, તે વિમાનના નિર્દેશિત મોડલની ફ્યુલ સ્વિચની એકવાર ચકાસણી કરી ખરાઈ કરે.