Rajkot News: રાજકોટ AIIMSના મેડિકલના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લેતા મેડિકલ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ રાજસ્થાનના અને એઈમ્સમાં MBBSના અભ્યાસ બાદ ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરે શનિવારે (14મી માર્ચ) સવારે પરાપીપળિયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
સુસાઈડ નોટમાં ખૂલ્યું આપઘાતનું કારણ
મળતી માહિતી અનુસાર, ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ડૉક્ટરે પોતે ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાને કારણે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ અંગત કે શૈક્ષણિક દબાણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક રાજસ્થાનના જેસલમેરનો વતની
પોલીસના જણાવ્યાનુસાર, મૃતક ડૉ. રતનકુમાર મેઘવાલ મૂળ રાજસ્થાનના જેસલમેરનો વતની હતો. તે રાજકોટ એઈમ્સમાં MBBS પૂર્ણ કરી અત્યારે ઇન્ટર્ન ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હતો. યુવાનના આપઘાતના સમાચાર તેના પરિવારને આપવામાં આવતા તેઓ રાજસ્થાનથી રાજકોટ આવવા રવાના થયા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે,રતનકુમારે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ તે વહેલી સવારે હોસ્ટેલથી નીકળી આ જ પરાપીપળિયા રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેને સમયસર બચાવી લીધો હતો. કમનસીબે, આ વખતે તે મોત સામે જંગ હારી ગયો.


