અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
Ahmedabad Sabarmati River Alert: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને રાખી આજે પણ સાબરમતી નદીને હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
સાબરમતી નદીમાં પાણીની આવક
સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે હેઠવાસમાં હાલ 96234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
નદીકાંઠાના વિસ્તારોને હાઇ ઍલર્ટ
નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલ 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને ઍલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઇંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદથી જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઇ ઍલર્ટ હેઠળ છે.