ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન
Bhadarvi Fair 2025: ભાદરવા માસનો પ્રારંભ થઈ ગયો છે અને તેની સાથે જ ભાદરવી મેળાઓ યોજાવાનું પણ શરૂ થઇ ગયું છે. મંગળવાર (26મી ઓગસ્ટ)થી તરણેતરનો મેળો જ્યારે પહેલીથી સાતમી સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આગામી 29મી ઓગસ્ટ સુધી યોજાતા તરણેતરના મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે.
ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિધ્ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે. આ મેળામાં મનોરંજનની નહીં પણ ભક્તિની ભાવના સદીઓથી રહેલી છે.