Get The App

પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ 1 - image


Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શેઠવાલા પરિવાર પર પણ આભ તૂટી પડ્યું છે. પરિવારના દીયરના લગ્નમાં હાજરી આપવા યુકેથી આવેલી ભાભી અને તેમની અઢી વર્ષની માસૂમ દીકરી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા, અને તેમનું પણ દુર્ઘટનામાં અવસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

લગ્ન પ્રસંગ પૂરો કરી યુકે પરત ફરતા હતા

વડોદરાના વાડી ખત્રી પોળમાં સાસરી ધરાવતા 26 વર્ષીય સદીકાબહેન મોહમ્મદ મિયાં શેઠવાલા (તપેલીવાલા) અને તેમની અઢી વર્ષની દીકરી ફાતિમા, ગત 16મી તારીખે યુકેથી વડોદરા આવ્યા હતા. તેઓ સદીકાબહેનના દીયરના 18મી તારીખના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ આજે સવારે 7:00 વાગ્યે તેઓ યુકે પરત જવા માટે વડોદરાથી નીકળ્યા હતા.

પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ 2 - image

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ | 'મારા પુત્રએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી', માતાએ વર્ણવી વ્યથા

સદીકાબેનના સાસુ, માતા-પિતા અને ભાઈ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા હતા. આ સ્વજનો અમદાવાદથી વડોદરા પરત આવ્યા, અને તે જ સમયે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા તેઓ તરત જ અમદાવાદ પરત દોડી ગયા હતા. આ કરુણ સમાચાર મળતાની સાથે જ વાડી સહિત સમગ્ર વિસ્તારમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. શેઠવાલા પરિવાર પર તૂટી પડેલી આ આફતથી લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો: LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 91થી વધુના મોતની આશંકા, ફ્લાઈટોનું સંચાલન ફરી શરૂ

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઑફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી

Tags :