અમદાવાદ પ્લેન ક્રેશ | 'મારા પુત્રએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી', માતાએ વર્ણવી વ્યથા
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.
એર ઈન્ડિયાના પ્લેનમાં 242 લોકો સવાર હતા
એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ એક ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ આ અકસ્માત થયો અને પ્લેન એરપોર્ટથી થોડા અંતરે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું અને ક્રેશ થયું.અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુર્ઘટના સ્થળ પરથી નીકળતો કાળો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
'મારો દીકરો જ્યાં ગયો હતો ત્યાં પ્લેન પડી ગયું...'
આ દરમિયાન, રમીલા નામની એક મહિલાનું નિવેદન સામે આવ્યું છે, જેનો પુત્ર એ જ હોસ્ટેલમાં રહેતો હતો જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. ધ્રૂજતા અવાજે તેણે કહ્યું, 'મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને ત્યાં પ્લેન ક્રેશ થયું. મને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું છે. પરંતુ ભગવાનનો આભાર, મારો દીકરો બચી ગયો.'
રમીલાબહેને જણાવ્યું કે, 'અકસ્માત સમયે મારો દીકરો પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદી પડ્યો હતો, જેના કારણે તેને થોડી ઈજાઓ થઈ હતી. મેં તેની સાથે વાત કરી છે, તેણે કહ્યું કે મમ્મી હું ઠીક છું, બસ થોડી ઈજા થઈ છે.'
દુર્ઘટનાનું કારણ શું?
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.