Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત 1 - image


Air India Plane Crash : અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 272 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતકોના DNA મેચ થયા છે. આ દરમિયાન મૃતદેહ પરિજનોને સોંપવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવી છે. મૃતદેહો સોંપવાની કામગીરીમાં 190થી વધુ ઍમ્બ્યુલન્સ, 230થી વધુ જિલ્લા સ્તરની ટીમો, 590 તબીબી-સહાયક સ્ટાફ કાર્યરત છે.

15 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે રાત્રે પત્રકાર પરિષદ કરી ત્યારે 11 મૃતદેહોના DNA મેચ થયા હતા. જે બાદ મોડી રાત સુધીમાં વધુ 4 મૃતદેહોના DNA મેચ થયા છે.  રજનીશ પટેલે જણાવ્યું હતું કે, 'વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. જેમાં એક મૃતકનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. આજે શનિવારે (14 જૂન) સુધીમાં બે મૃતકોના મૃતદેહને પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી છે. આ એક ધીમી પ્રક્રિયા છે અને તે ખૂબ જ કાળજીપૂર્વક કરવાની જરૂર છે. આજે અમને વિમાન દુર્ઘટના સ્થળથી વધુ એક મૃતદેહ મળ્યો છે.'

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, મૃતકોના DNA મેચ થયા બાદ પરિવારોને બોલાવવામાં આવી રહ્યા છે. મૃતદેહ પરિજનોને આપવા માટે SOP બનાવવામાં આવી છે. જેમાં BJ મેડિકલ કોલેજમાં મૃતકોના પરિજનોના DNA ટેસ્ટ કરીને સેમ્પલ લીધા અને પોસ્ટમોર્ટમમાં પણ DNA સેમ્પલ લેવાયા હતા. મૃતકોના પરિવારે DNA સેમ્પલ આપ્યા છે, તેમને ફોન કરીને જાણકારી આપવામાં આવશે. જ્યારે DNA ટેસ્ટ માટે આવતા પરિવારજનોએ મૃતકની ઓળખ અને સંબંધીની પુષ્ટિ માટે જરૂર ડોક્યુમેન્ટ આપવા પડશે. સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ વેરિફિકેશન, ડેથ સર્ટિફિકેશટ અને ડોક્યુમેન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર

મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે, કે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહને પરિવારોને સોંપવાની કામગીરી અત્યંત સંવેદનશીલતા સાથે હાથ ધરવામાં આવી રહી છે, જેમાં FSL નિષ્ણાતો અને તબીબી ટીમો દ્વારા DNA સેમ્પલિંગની કામગીરી શરૂ છે. મૃતદેહો સોંપવાની કામગીરીમાં 190થી વધુ ઍમ્બ્યુલન્સ, 230થી વધુ જિલ્લા સ્તરની ટીમો, 590 તબીબી-સહાયક સ્ટાફ કાર્યરત છે. આ દરમિયાન વરિષ્ઠ IAS અધિકારીઓ, ડૉકટરો અને ફોરેન્સિક ટીમો ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. આ સાથે સ્થાનિક નાગરિકો, ખાનગી ડૉકટરો અને સ્વયંસેવકો સરકારી એજન્સીઓ સેવા આપી રહ્યાં છે. 

NIA એ તપાસનો મૂક્યો પ્રસ્તાવ 

અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.  

આ પણ વાંચો: Ahmedabad Plane Crash : મૃતકોની સંખ્યા 270ને પાર, સિવિલ હોસ્પિટલમાં ખડગેની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત

વિમાનનો કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોની ઓળખ અને પીડિત પરિવારોને સોંપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દરમિયાન, આજે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેઈલના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જે મહિલાનો છે. આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોવાની આશંકા છે.

Tags :