Get The App

Ahmedabad Plane Crash : મૃતકોની સંખ્યા 270ને પાર, સિવિલ હોસ્પિટલમાં ખડગેની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
Ahmedabad Plane Crash : મૃતકોની સંખ્યા 270ને પાર, સિવિલ હોસ્પિટલમાં ખડગેની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત 1 - image


Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશની મહત્ત્વની અપડેટ્સ:

વડોદરાથી 100 કોફીન તૈયારી કરીને અમદાવાદ મંગાવાયા

અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાવહ ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા માટે વડોદરાની એક સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, ત્યારે વડોદરાથી 100 કોફીન તૈયારી કરીને આજે શનિવારે (14 જૂન) મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચાડી દેવાશે.

મૃતકોની સંખ્યા 270ને પાર 

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોની સંખ્યા વધીને 272 થઈ છે, જેમાં 241 લોકો પ્લેનમાં જ સવાર હતા. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. 

NIA એ તપાસનો મૂક્યો પ્રસ્તાવ 

અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.  

વિજય રૂપાણીના દીકરા ગાંધીનગર પહોંચ્યાં

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી ગયા. જોકે હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઇ શકી નથી. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અને મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો દીકરો પણ ગાંધીનગર પહોંચી ગયો છે. ડીએનએ મેચિંગ બાદ જ તેમના પરિવાર દ્વારા અંતિમવિધિ અંગે ચોક્કસ માહિતી આપવામાં આવશે.  

વિમાનનો કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોની ઓળખ અને પીડિત પરિવારોને સોંપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દરમિયાન, વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેઈલના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જે મહિલાનો છો. આશંકા છે કે તે વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.

એર હોસ્ટેસનો મૃતદેહ મળ્યાની આશંકા

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કાટમાળ હટાવતી ટીમને વિમાનની ટેઈલ પાસે ભારે દુર્ગંધ આવતી હતી, જ્યાં તેમણે તપાસ કરી તો કોઈનો મૃતદેહ હોવાનું જણાયું હતું, ટેઈલની અંદર જઈને તપાસ કરી તો તે કોઈ મહિલાનો મૃતદેહ હતો. જે કાટમાળમાં ફસાઈ ગયો હતો, જેથી કાટમાળના કેટલાક ભાગને કાપીને મહિલાનો મૃતદેહ બહાર કાઢી તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં 265 જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ આ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ મૃતદેહોમાંથી ઘણાની હાલત એવી થઈ ચૂકી છે કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. જેના લીધે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.

ઇંધણમાં ભેળસેળ દુર્ઘટનાનું સંભવિત કારણ?

આ દુર્ઘટનાના કારણો અંગે વિવિધ અનુમાનો અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે અકસ્માત પાછળ એક સંભવિત કારણ તરીકે ઇંધણમાં ભેળસેળ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ સત્તાવાર તપાસ બાદ જ થશે.

મુરલીધરે વધુમાં જણાવ્યું હતું કે, 'જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળી હોય. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં અને આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.' હાલ, દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

Tags :