અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી (Aviation Minister) રામ મોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઇએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઈલટે MAY DAY નો સંદેશ આપ્યો હતો. પાઈલટે ઈમરજન્સી હોવાની જાણકારી આપી હતી.
પાઈલટે ઈમરજન્સીની સૂચના આપી હતી
આ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે પ્લેન ક્રેશ થતાં પહેલા પાઈલટે ઈમરજન્સી સ્થિતિની જાણકારી આપી હતી. ATC તરફથી એ મેસેજનો કોઈ જવાબ મળ્યો નહોતો. ઉડ્ડયન મંત્રીના જણાવ્યાનુસાર વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું. એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ વિમાન બે કિ.મી. દૂર તૂટી પડ્યું હતું.
કમિટીની રચના કરાઈ
ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગૃહ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઈ લેવલની કમિટી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે. તપાસ સમિતિમાં ડીજીસીએ અને આઈબીના અધિકારીઓને પણ સામેલ કરાયા છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું જેના પરથી વિમાન દુર્ઘટના પહેલા છેલ્લી ઘડીએ શું થયું હતું તે જાણી શકાશે.
ભયાનક વિસ્ફોટ બાદ આગને 6 વાગ્યા સુધીમાં કાબુમાં લઇ શકાય
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પ્લેન ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે આગ ફેલાઈ ગઇ હતી. આગને કાબૂમાં લેતા લેતા 6 વાગી ગયા હતા. આ મામલે કમિટી તપાસ કરી રહી છે. જે તમામ પુરાવાઓ અને નિવેદનો એકઠાં કરશે અને રિપોર્ટ રજૂ કરશે.'