અમદાવાદના રામોલમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર પરીણિતાની હત્યા, બંને આરોપીની અટકાયત
Ahmedabad Crime: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મંગળવારે (27 મે) સાંજે 7 વાગ્યે 35 વર્ષની પરીણિતાની પોતાના જ ઘરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસે હાલ બંને આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના વરસ્ત્રાલમાં હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ માથાકૂટ થયેલી હતી. ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિ અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા નિપજાવે છે.
પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે, અમે જ્યાં પહેલાં રહેતા હતાં, ત્યાં બંનેનો સંપર્ક થયો હતો અને બંને વચ્ચે ઘણાં બંનેનો પ્રેમ સંબંધ હતો. જોકે, આ વિશે જાણ થતાં અમે ઘર બદલીને વસ્ત્રાલ આવી ગયા હતાં. જોકે, ત્યારબાદ પણ બંને વચ્ચે સંપર્ક હતો. આરોપી અશોક પટેલ મારી પત્નીને જબરદસ્તી ફોન ઉપર વાત કરવા અને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો અને જો તે એવું ન કરે તો છોકરાઓને ઉપાડી જવા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી મારી પત્ની બીકના કારણે તેની સાથે વાતચીત કરતી, જ્યારે તે વાતચીત ન કરે ત્યારે આરોપી અવાર-નવાર મારી પત્ની તેમજ મારી સાથે મારપીટ અને બોલાચાલીથી ઝઘડો કરતો હતો. જોકે, મારી પત્નીને તેની સાથે કોઈ સંબંધ નહતો રાખવો તેથી તેની અદાવત રાખીને મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી.'
આ પણ વાંચોઃ ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી, 2 મસ્જિદ સહિત 4 ધાર્મિક બાંધકામ તોડી પડાશે
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલા અને આરોપી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હોવાના કારણે આરોપીએ મહિલાની હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે. નોંધનીય છે કે, આરોપી સામે આ અગાઉ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. મળતી માહિતી મુજબ, મૃતક મહિલા અને આરોપી બંને પરીણિતા છે અને બંનેના બાળકો છે.