પાટણના સાંતલપુરમાં દલિત આધેડને જીવતો સળગાવી દેવાયો, બે લોકોની ધરપકડ, પગમાં ઝાંઝર અને ચણિયો પહેરાવ્યો
Dalit Murder in Satalpur: રાજ્યભરમાં અવાર-નવાર દલિતો પર અત્યાચારના સમાચાર સામે આવે છે. તાજેતરમાં જ અમરેલીમાં નજીવી બાબતે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે એક વિચિત્ર ઘટના સામે આવી છે. 50 વર્ષીય આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો છે. આ ઘટનામાં શંકાના આધારે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે દલિત સમાજના આધેડ વ્યક્તિને સળગાવીને હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આધેડના પગમાં ઝાંઝર, ચણિયો પહેરાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહનો કબજો લઇ વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો છે.
પાટણ ડીએસપીએ આ ઘટનનાની પુષ્ટિ કરી હતી. મૃતકનું નામ હરજીભાઇ દેભાભાઈ સોલંકી મૂળ પીપરાળા ગામના રહેવાસી છે. હાલમાં રવૌવા ગામે રહે છે અને મૃતદેહ જાખોત્રા (તા. સાંતલપુર, જી પાટણ)થી મળી આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઘટનાને લઇને કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું છે કે ' ખૂબ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે વિકાસના તમામ દાવાઓ છતાં, ગુજરાત દલિતો માટે નર્ક બની રહ્યું છે! હું મારા બધા મિત્રોને પાટણના ધારપુરની સિવિલ હોસ્પિટલ પહોંચીને ન્યાય માટે વિનંતી કરું છું! સરકારે પીડિત પરિવારને યોગ્ય વળતર અને 2 એકર ખેતીની જમીન પણ આપવી જોઈએ!'
ગુજરાતમાં વારંવાર દલિત સમાજના લોકો પર આ રીતે બનતા જીવલેણ હુમલાઓ અને હત્યાઓ દર્શાવે છે કે લોકોમાં કાયદાનો ડર રહ્યો નથી. ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ કેસ્માં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આરોપીઓને જલ્દીથી પકડી કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે.