ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિત 4 ધર્મસ્થળ તોડી પડાયા
File Photo |
Chandola Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને લઈને 28 મેના રોજ બીજા તબક્કો શરૂ કરવામાં આવ્યો. જેમાં વહેલી સવારથી જ જેસીબી સહિતના મશીનો ઘટનાસ્થળે પહોંચાડી દેવાયા હતા. આ તબક્કામાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધર્મસ્થળ તોડી પાડવામાં આવ્યા છે.
ધાર્મિક બાંધકામો કરાશે દૂર
ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઈ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો. મંદિર અને મસ્જિદની અંદરના સામાનને બહાર કાઢવામાં આવ્યો અને બાદમાં તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મળતી માહિતી મુજબ, આજે જ આ કાર્યવાહી સંપૂર્ણ કરી કાટમાળ દૂર કરી દેવાશે અને આજુબાજુમાં દીવાલ પણ બનાવી દેવાશે, જેથી અન્ય કોઈ અહીં ગેરકાયદે બાંધકામ ન કરે.
આ પણ વાંચોઃ ગુજરાત સહિત 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
મળતી માહિતી મુજબ, અહીંના સ્થાનિક લોકો દ્વારા હજુ સુધી ધાર્મિક દબાણોને લઈને કોઈ વિરોધ કરાયો નથી. પરંતુ, આ વખતે સ્થાનિક સંમતિ સાથે આ ધાર્મિક દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પહેલાં ધાર્મિક બાંધકામ તોડવાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી હતી. જોકે, પોલીસ અને તંત્રની સમજાવટ બાદ હવે લોકો સંમત થઈ ગયા છે. બીજી તરફ, ધર્મસ્થળો તોડતા પહેલા તેમાંથી જરૂરી ચીજવસ્તુઓ, પુસ્તકો વગેરે હટાવી લેવામાં આવ્યા હતા, જેથી તે સુરક્ષિત રહે.
બીજા તબક્કામાં પણ તોડી પડાઈ હતી 9 મસ્જિદ
નોંધનીય છે કે, ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં 20 મેના દિવસે પણ પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં નાની-મોટી કુલ 9 મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી હતી, જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરતા હતાં.