Ahmedabad News: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અઢી મહિનાની માસૂમ બાળકીનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નીપજ્યું છે. આ મામલે બાળકીના પિતાએ પોતાની પત્ની પર બેદરકારી અને સત્ય છુપાવવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર ઘટના?
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને વટવા ખાતે મશીન ઓપરેટર તરીકે કામ કરતા દીપકભાઈ મકવાણાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 27 માર્ચના રોજ બની હતી. સવારે 8 વાગ્યે દીપકભાઈ નોકરી પર ગયા હતા, ત્યારે ઘરે તેમની પત્ની મોનિકા (33) અને બે પુત્રીઓ (5 વર્ષની પુત્રી અને અઢી મહિનાની વિશ્વ ઉર્ફે વિવા) હાજર હતા.
પડોશીએ ફોન કરી જાણ કરી
સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે દીપકભાઈ ગેસ સિલિન્ડર બુક કરાવવા ગયા હતા, ત્યારે પડોશીએ તેમને ફોન કરી તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. ઘરે પહોંચતા જ તેમને જાણવા મળ્યું કે તેમની નાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઈ છે. બાળકીને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પત્ની પર ગંભીર આક્ષેપ
ફરિયાદમાં દીપકભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની મોનિકા સવારે 11 વાગ્યે બાળકીને લઈને અગાસી પર પાણીની મોટર ચાલુ કરવા ગઈ હતી. તે સમયે બાળકી તેના હાથમાંથી સરકીને ખુલ્લી ટાંકીમાં પડી ગઈ હતી. ગભરાઈ ગયેલી પત્નીએ બૂમાબૂમ કરવાને બદલે ડરના માર્યા ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર એલ્યુમિનિયમની પ્લેટ ઢાંકી દીધી હતી. દીપકભાઈનું કહેવું છે કે જો તેમની પત્નીએ તાત્કાલિક પડોશીઓને જાણ કરી હોત, તો કદાચ બાળકીનો જીવ બચી શક્યો હોત. બાદમાં પત્નીએ આ સમગ્ર હકીકત કબૂલી હતી.
પોલીસ તપાસ શરૂ
અમરાઈવાડી પોલીસે પિતાની ફરિયાદના આધારે માતા વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ આ ઘટના પાછળના ચોક્કસ તથ્યો બહાર આવશે.


