અમદાવાદના નારોલમાં નજીવી બાબતે 3 રાઉન્ડ ફાયરિંગ, અસામાજિક તત્ત્વોએ તલવારથી મચાવ્યું તોફાન
Ahmedabad Firing: અમદાવાદના નારોલમાંથી શુક્રવારે મોડી રાત્રે ફાયરિંગ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીની ઓળખ મોહમ્મદ અંસારી અને નરૂદ્દીન કુરૈશી તરીકે થઈ છે. હાલ, પોલીસે આરોપી પાસેથી હથિયાર જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક જાણે સામાન્ય થઈ રહ્યો છે. છે. શહેરના નારોલ વિસ્તારમાં શુક્રવારે (20 જૂન) પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્ત્વો દ્વારા નારોલ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપીઓએ બાઇક સાઇડમાં હટાવવા જેવી નજીવી બાબતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે મહોમ્મદ અંસારી અને નરૂદ્દીન કુરૈશીની ધરપકડ કરી છે. બંને પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં પિસ્તોલ, દેશી તમંચો અને ચાર કારતુસનો સમાવેશ થાય છે. આરોપીએ ફાયરિંગ બાદ વિસ્તારમાંથી તોડફોડ પણ કરી હતી. જોકે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ આવતીકાલે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન, 25 જૂને પરિણામ
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે મિત્રો દ્વારા પહેલાં બાઇક હટાવવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એકાએક મારામારીમાં બદલાયો અને બાદમાં અન્ય ત્રણથી ચાર લોકો હથિયાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તલવાર, બંદૂક અને અન્ય હથિયારો સાથે આખો વિસ્તાર બાનમાં લીધો હતો અને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
નારોલમાંથી જ ઝડપાયા આરોપી
સમગ્ર મામલે LCB અને સ્થાનિક પોલીસની ટીમ ફાયરિંગની ઘટનાની જાણ થતાં તુરંત તપાસના કામે લાગી હતી. ઝોન-6ની LCBને બાતમી મળી હતી કે, આ બંને આરોપી પાસે હથિયાર છે અને તે બંને નારોલના મટન ગલીમાં છુપાયેલા છે. ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા અને ફાયરિંગ તેમજ તોડફોડ કયા કારણોસર કરી હતી તે વિશે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ફરી એક વખત નવરાત્રીના આયોજન માટે ઓફર મંગાવવામાં આવી
નોંધનીય છે કે, ગણતરીના દિવસોમાં અમદાવાદ શહેરમાં રથયાતાર્નું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે અને માનવ મહેરામણ જામશે. જોકે, રથયાત્રાની પહેલાં આવી ઘટના બનવી તે સુરક્ષાને લઈને એક મોટો સવાલ ઊભો કરે છે.