આવતીકાલે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન, 25 જૂને પરિણામ
Gram Panchayat Elections In Gujarat: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 22મી જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે,ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
આ તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરાઈ
રવિવારે યોજાનારી ચૂંટણીમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.
4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર
ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. કુલ 3,656 સરપંચ અને 16, 224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે.
EVM નહીં, બેલેટ પેપરથી મતદાન થશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણીઓની તારીખો 28 મે, 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં EVM નો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન થશે. આ માટે રાજ્યભરમાં 10,479 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, અને અંદાજે 1.3 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અવારનવાર પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા મતદાન કરવામાં આવશે અને સુરક્ષાને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરાશે. ચૂંટણીના 48 કલાક પહેલાં જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ રહેશે.
ચૂંટણીનું મહત્વ
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થાનિક સ્તરે વિકાસ અને વહીવટ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ગામના વિકાસ કાર્યો, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ, અને અન્ય મૂળભૂત સુવિધાઓના સંચાલનની જવાબદારી ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હોય છે. આ ચૂંટણીઓમાં ગ્રામજનો સીધા પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે, જે ગામના ભવિષ્યનું નિર્માણ કરે છે.
સમરસ ગ્રામ પંચાયતની પરંપરા અને હેતુ
ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતની પરંપરા રહી છે, જ્યાં ગામના લોકો સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે અને ચૂંટણી વગર જ પંચાયતની રચના થાય છે. આ પ્રથા ગામમાં એકતા અને સૌહાર્દ જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને આવી પંચાયતોને સરકાર તરફથી વિશેષ પ્રોત્સાહન અને વિકાસ ભંડોળ પણ મળે છે.
આદર્શ આચારસંહિતા
ચૂંટણીની જાહેરાત સાથે જ 28 મે, 2025 થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે, જે 27 જૂન, 2025 સુધી લાગુ રહેશે. આચારસંહિતાના અમલથી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સરકારી કર્મચારીઓની બદલી અને રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને કોઈપણ પ્રકારની જાહેરાતો કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે.
આવતીકાલનું મતદાન ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, અને 25 જૂને મતગણતરી પછી જ ખબર પડશે કે કયા ગામોમાં કોને સરપંચપદ અને વોર્ડ સભ્યપદનો તાજ પહેરાવવામાં આવશે.