અમદાવાદ શહેરમાં ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ માટે રૂ.1003 કરોડની મંજૂરી, જાણો શું-શું થશે કામગીરી
અમદાવાદ શહેરમાં એક બાદ એક વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે આજે(11 માર્ચ, 2025) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.
ફેઝ-2 હેઠળ કઈ કઈ જગ્યાએ કરાશે કેનાલ રીડેવલપમેન્ટ
આ ફેઝ-2 હેઠળ સ્ટ્રેચ-1માં SP રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-2માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-3 અન્વયે ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને સ્ટ્રેચ-4 અને 5માં વટવા ગામથી SP રીંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરાશે.
આ સિવાય આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ, રિટેઈનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરીગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ કેનાલની કુલ લંબાઈમાંથી ફેઝ-1માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઈમાં SP રીંગ રોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને SP રીંગ રોડ સુધીની હયાત ખારીકટ કેનાલ હાલ ખુલ્લામાં છે.
આ પણ વાંચો: ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, નોંધણી શરૂ, જાણો કેટલો મળશે ભાવ
એટલું જ નહીં સમયાંતરે અમદાવાદ શહેરનો વ્યાપ વધતા કેનાલની બન્ને તરફ થયેલા વિકાસને કારણે કેનાલ બેડમાં ઘન કચરાનું મિશ્રણ થતાં કેનાલનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાનિ પહોંચવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત ખારીકટ કેનાલની બન્ને તરફના ટી.પી. વિસ્તારને કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમસ્યાઓના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ-1માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેવલપમેન્ટની કામગીરી અન્વયે 80 ટકા કામ પૂર્ણ થયું છે. આ હેતુસર ફેઝ-1 માટે ફાળવવામાં આવેલા 1338 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ.700 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો: ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં AAP! આતિશીએ લઈ લીધો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ ખારીકટ કેનાલની ફેઝ-1 સિવાયની બાકી રહેતી લંબાઈમાં ફેઝ-2 હેઠળ વિવિધ પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ-2 હેઠળના કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવી છે.