ખેડૂતો માટે રાહતના સમાચારઃ કૃષિ વિભાગે નુકસાનનો સરવે કરવાનો આપ્યો આદેશ
Farmer News: ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રીપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા છે. આ સિવાય મગ, તલના પાકને પણ નુકસાન થયું છે.
કૃષિ વિભાગે આપ્યો સરવેનો આદેશ
છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવામાં ખેડૂતોની માંગના આધારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નુકસાનીના સરવેનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ રજા લઇ શકશે, ભારત-પાક. તણાવને પગલે રદ કરાઈ હતી
SDRFના ધારા-ધોરણ હેઠળ કરાશે સરવે
મળતી માહિતી મુજબ, બે દિવસની અંદર અધિકારીઓ પ્રાથમિક રીપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રીપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરશે. આ ઉપરાંત સરવેની કામગીરી SDRF(State Disaster Response Fund)ના ધારા-ધોરણ હેઠળ કરવામાં આવશે. એટલે કે, જે ખેડૂતોના 33%થી વધારે પાકને નુકસાન થયું હશે તેમને વળતર આપવામાં આવશે.