ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, ભારત-પાક. તણાવને પગલે રદ કરાઈ હતી રજા
Government employees News : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. એટલું જ નહીં, રજાઓ દરમિયાન તમામે ફોન-ઈ મેલ પર પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.